ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સહાય જાહેર કરવા વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો સીએમને પત્ર

|

Aug 25, 2021 | 5:04 PM

પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે તાઉતે બાદ હવે અનાવૃષ્ટિથી ખેડૂતોની સ્થિતિ દયનીય છે. ત્યારે સરકારે તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને 100 ટકા વળતર આપવું જોઇએ.

ગુજરાત(Gujarat)માં વરસાદની ઘટના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે . તેવા સમયે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani)એ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં ખેડૂતોના હિતમાં સરકાર તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરે તેવી માંગ કરી છે.

તેમણે કહ્યું છે કે આ અગાઉ તાઉતે વાવાઝોડાના કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. તેમજ હાલ વરસાદ ખેંચાતા સરકારે ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે તાઉતે બાદ હવે અનાવૃષ્ટિથી ખેડૂતોની સ્થિતિ દયનીય છે. ત્યારે સરકારે તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને 100 ટકા વળતર આપવું જોઇએ.

ઉલ્લેખનીય છે  કે, રાજ્યના અનેક વિસ્તારો હજી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડતા ચિંતા ફેલાઈ છે. કચ્છના લખપતમાં હજુ સુધી સિઝનનો માત્ર 14 ટકા, રાપરમાં 17 ટકા અને અબડાસામાં 18 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. કચ્છમાં વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ દયનીય બની શકે છે

જો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અહીં બનાસકાંઠાના કાંકરેજમાં 7 ટકા, થરાદમાં 10 ટકા, અમીરગઢમાં 24 ટકા જ વરસાદ પડ્યો છે. પાટણના સાંતલપુરમાં 14 ટકા, સતલાસણા 20 ટકા જ વરસાદ હજુ સુધી પડ્યો છે.ગાંધીનગર, દહેગામની સાથે જ સાબરકાંઠાના ભિલોડામાં 15 અને ઈડરમાં 25 ટકા વરસાદ પડ્યો છે.

મધ્ય ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો હજી કોરાધાકોર જ છે. અમદાવાદના ધોલેરા અને માંડલમાં સિઝનનો 20 થી 21 ટકા વરસાદ પડ્યો છે. તો ખેડાના ગળતેશ્વર અને ઠાસરામાં 12 ટકા જ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે..પંચમહાલના કાલોલ, બાલાસિનોર અને દાહોદના ઝાલોદમાં પણ સરેરાશ 22થી 25 ટકા જ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે મેઘમહેર થઈ રહી છે.પરંતુ સુરેન્દ્રનગરના દસાડામાં 17 ટકા, ધ્રાંગધ્રામાં 16 ટકા અને લિંબડીમાં 19 ટકા જ વરસાદ પડ્યો છે. જામનગરમાં 18 ટકા, દ્વારકામાં 30 અને પોરબંદરમાં 32 ટકા જ વરસાદ નોંધાયો છે..તો જંગલ વિસ્તાર ગીર-ગઢડા 22 ટકા, શિહોરમાં 22 ટકા, રાણપુરમાં પણ 26 ટકા જ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : Shravan 2021: કાશી નગરીમાં ભૂલથી પણ ન કરતા આ પાપ ! નહીંતર બનવું પડશે મહાદેવના કોપનો ભોગ !

આ પણ  વાંચો: Ahmedabad : રેલવે સ્ટેશન પર દરિયાઇ લેવલથી ઉંચાઇ દર્શાવાતા બોર્ડ શું સૂચન કરે છે, જાણવા વાંચો આ અહેવાલ

Next Video