
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ને અનુલક્ષીને મતદારયાદીને(Electrol Roll) અદ્યતન બનાવવા ભારતના ચૂંટણી પંચની સુચના નુસાર તા.12મી ઓગસ્ટ થી 11મી સપ્ટેમ્બર, 2022 દરમિયાન ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી ઓક્ટોબર, 2022ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા, મતદારયાદીમાં નોંધાયેલી એન્ટ્રીમાં કોઇ સુધારો કરાવવો હોય, મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવવો હોય કે પછી નામ કમી કરાવવું હોય તો તેની અરજીઓ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન આપી શકાય છે.મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SSR) તા.12મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તા.૨૧મી અને 28મી ઓગસ્ટ તથા તા.4થી અને 11મી સપ્ટેમ્બર, 2022ના ચાર રવિવાર ખાસ દિવસ તરીકે જાહેર કરી, મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા મળેલ અરજીઓનો નિકાલ કરી મતદાર યાદીને અદ્યતન કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
જે અંતર્ગત તા.12મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર,2022 સુધીમાં રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓના 51782 બુથ પર બુથ લેવલ ઑફિસર્સ તથા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે 1267421 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં નવા મતદાર તરીકેની નોંધણી માટે 592193 ફોર્મ નં.6 તથા સ્થળાંતરના કારણે સરનામુ બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ઈચ્છતા નાગરિકો પાસેથી 490164 ફોર્મ નં.08 સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ 4804273 મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાર યાદીમાં નોંધાયેલી પોતાની વિગતો સાથે આધાર નંબર લિંક કરાવ્યો હતો.
છેલ્લા ત્રણ રવિવાર દરમિયાન ખાસ ઝુંબેશના ઉપક્રમે રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રી તેમજ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને બુથ લેવલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુંમતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા ઇચ્છતા મતદારો કે નવા મતદાર તરીકે નામ નોંધાવવા ઇચ્છુક યુવાનો માટે વધુ એક તક મળવાની છે.આગામી તા.11મી સપ્ટેમ્બરને રવિવારના રોજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ચોથો અને અંતિમ તબક્કો યોજાનાર છે. જેમાં નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ પદનામિત અધિકારીઓ દ્વારા સવારના 10.00 કલાકથી સાંજના 17.00 કલાક સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા અરજીઓ સ્વીકારવામાં આવશે.મતદારો નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે.
આની સાથે જ મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે.તા.11મી સપ્ટેમ્બર, 2022 સુધીમાં મળેલી અરજીઓના આધારે મતદારયાદીના મુસદ્દામાં દર્શાવેલ મતદારની વિગતોમાં ફેરફાર કરીને નવી સુધારેલી આખરી મતદારયાદી તા.10મી ઓકટોબર, 2022ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.
Published On - 8:09 pm, Sun, 11 September 22