પરંપરાગત ખેતીના અનુભવ અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી કૃષિ પાકોમાં વૈવિધ્ય-ઉત્પાદન વૃદ્ધિની સફળતા કૃષિકારોને મળશે : મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેલિબિયા પાકોમાં ૬૦ ટકા ઉત્પાદન વૃદ્ધિ, ખાદ્ય પાકોમાં ૬પ ટકા, કપાસમાં ૭૩ લાખ ગાંસડી ઉત્પાદથી દેશના કુલ કપાસ ઉત્પાદનના ર૦ ટકા એકલું ગુજરાત આપે છે તેની પણ રાજ્યમાં કૃષિ પાકોની સર્વગ્રાહી વૃદ્ધિના સંદર્ભમાં માહિતી આપી હતી.

પરંપરાગત ખેતીના અનુભવ અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી કૃષિ પાકોમાં વૈવિધ્ય-ઉત્પાદન વૃદ્ધિની સફળતા કૃષિકારોને મળશે : મુખ્યમંત્રી
ગાંધીનગર : એગ્રી એશિયા એક્ઝિબિશન
| Edited By: | Updated on: Dec 10, 2021 | 5:26 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10માં એગ્રી એશિયા એક્ઝીબિશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, પરંપરાગત ખેતીના અનુભવ જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી કૃષિ પાકોમાં વૈવિધ્ય અને ઉત્પાદનમાં વૃદ્ધિની સફળતા કૃષિકારોને મળશે. આ સંદર્ભમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી ધરતીપુત્રોને પ્રગતિના પંથે લઇ જવાની નેમ રાખી છે. આ નેમને સાકાર કરવા વેલ્યુએડિશન અને ટેક્નોલોજીનો સમયોચિત ઉપયોગ તથા કિસાન હિતકારી નીતિઓ-પોલીસીઝ દ્વારા ધરતીપુત્રોને આર્થિક સક્ષમતા આપવાના આયોજનો થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૦માં એગ્રી એશિયા એક્ઝીબિશનમાં સહભાગી બનેલી રરપ થી વધુ કંપનીઓ અને ૪ જેટલી વિદેશી સ્ટાર્ટઅપ કંપનીઓ આ પ્રદર્શની દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માર્ગદર્શક બનશે, તેમ પણ ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી બાજપેયીજીએ જય જવાન, જય કિસાન સાથે જય વિજ્ઞાન સૂત્ર આપીને કૃષિ ક્ષેત્રે પણ વિજ્ઞાનને પ્રેરિત કર્યુ હતું.

આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કૃષિ વિકાસનું વિચાર બીજ ગુજરાતમાં કૃષિ મહોત્સવોની સફળ શૃંખલા યોજીને આપ્યું અને ખેડૂતના ખેતર સુધી કૃષિ વિકાસ પહોચાડયો એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કૃષિપ્રધાન ભારત દેશને આત્મનિર્ભર ભારત બનાવવાના વડાપ્રધાનના સંકલ્પમાં આત્મનિર્ભર ગુજરાતથી જોડાવા ગુજરાતે કૃષિ, પશુપાલન, દૂધ ઉત્પાદન સહિતના ક્ષેત્રોમાં હોલિસ્ટીક એપ્રોચ સાથે આયોજનો કર્યા છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખેતીમાં ટેક્નોલોજીનો સમયાનુકુલ ઉપયોગ આપણે કર્યો છે. હવે, આધુનિકતા સાથે પ્રાચીન પરંપરાનો સંગમ કરીને પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મીંગ, અપનાવવું સમયની માંગ છે. આ દિશામાં આપણે જેટલા આગળ વધીશું તેટલા આપણા ધરતીપુત્રો સુખી-સમૃદ્ધ બનશે. સાથો સાથ લોકોને પણ સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળશે એવો મત ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ખેતી હેઠળનો વિસ્તાર વધારવો, ઉત્પાદકતા વધારવી તથા સંશાધન ક્ષમતા ઊભી કરવી અને હાઇટેક બાગાયત અપનાવવું તેમજ નવિન ટેક્નોલોજીને પ્રોત્સાહન સાથોસાથ ઓર્ગેનિક, પ્રાકૃતિક ખેતીની વૃદ્ધિ એવા ફોકસ એરિયા નક્કી કરીને રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેલિબિયા પાકોમાં ૬૦ ટકા ઉત્પાદન વૃદ્ધિ, ખાદ્ય પાકોમાં ૬પ ટકા, કપાસમાં ૭૩ લાખ ગાંસડી ઉત્પાદથી દેશના કુલ કપાસ ઉત્પાદનના ર૦ ટકા એકલું ગુજરાત આપે છે તેની પણ રાજ્યમાં કૃષિ પાકોની સર્વગ્રાહી વૃદ્ધિના સંદર્ભમાં માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં ઝિરો ટકા વ્યાજે લોન, ટેકાના ભાવે વિક્રમજનક ખરીદી તથા કુદરતી આફત સમયે ઉદાર સહાય પેકેજથી સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ છે જ. હવે, ટેક્નોલોજીના નવતર અભિગમ અને પ્રાકૃતિક ખેતીના સમન્વયથી દેશમાં હરિતક્રાંતિની પણ આગેવાની લેશે. મુખ્યમંત્રીએ એગ્રી એશિયાના વિવિધ સ્ટોલ્સની પણ પ્રત્યક્ષ મુલાકાત લઇ પ્રોડકટ્સ અંગેની માહિતી મેળવી હતી તથા ઉપકરણો નિહાળ્યા હતા.

આ અવસરે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટેન, અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર, સહકારી ડેરી સંઘના અધ્યક્ષ શામળભાઇ તેમજ કૃષિ ક્ષેત્રના અગ્રણી તજજ્ઞો ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રોગ્રેસીવ ડેરી ફાર્મર્સ એસોશિયેશનના અધ્યક્ષ ડૉ. ભરતભાઇ પટેલે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય અને વર્તમાન કૃષિ વ્યવસ્થા પરિપ્રેક્ષ્યમાં તેની ઉપયોગિતા સમજાવી હતી.