સરકારે રેમડિસીવીર ઈન્જેકશન સરકારી હોસ્પિટલોથી મળી રહેશે તેવી જાહેરાત તો કરી પણ આ જાહેરાતના પગલે લોકો સરકારી હોસ્પિટલે પહોચ્યા ત્યારે બહારના કોરોનાના દર્દી માટે રેમડેસિવિર ઈન્જેકશન ના હોવાનું કહેતા અનેક લોકો સરકારી એપ્રિલફુલનો ભોગ બન્યા. સરકારી જાહેરાત પ્રમાણે સોલા સિવિલ. અસારવા સિવિલ તેમજ svp માં રેમડેસીવીર ઇન્જેક્શન ( remdesivir injection ) મળી રહેશે. જોકે સોલા સિવિલમાં આજે સવારથી લોકો રેમડેસીવીર ઇન્જેક્શન લીધા વગર પરત ફર્યા. કારણ એ હતું કે બહારથી આવતા લોકો માટે સ્ટોક નથી અપાયો. માત્ર હોસ્પિલમાં દાખલ થયેલા દર્દીઓ માટે જ રેમડેસિવીર ઈન્જેકશન હતા.
કોરોના કાળ વચ્ચે માસ્ક. સોશિયલ ડિસ્ટન્સ. વેકસીનેશન અને રેમડેસીવીર ઇન્જેક્શન. આ ચાર વસ્તુ હાલ કારગત માનવામાં એ રહી છે. જેને જોતા કોરોનાના દર્દીના પરિજનો રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે દોટ મૂકી રહ્યા છે. જેના કારણે કેટલાક ઉઘાડી લૂંટ ચલાવતા જોવા મળ્યા તો લાંબી કતારો પણ જોવા મળી. જેને લઈને લોકોને સરળતાથી રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે માટે સરકારે અસારવા સિવિલ હોસ્પિટલ. સોલા સિવિલ હોસ્પિટલ અને svp માં રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહેશે તેવી જાહેરાત કરી. જે જાહેરાતથી લોકોમાં ઇન્જેક્શન મળશે તેવું આશાનું કિરણ જાગ્યું જોકે લોકોમાં મેસેજ જતા વહેલી સવારથી ઇન્જેક્શન લેવા દર્દીના પરિજનો પહોંચ્યા પણ ત્યાં ઇન્જેક્શન નહિ મળતા તેઓએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું.
ઇન્જેક્શન મળવાની જાહેરાતને લઈને કોઈ સુરત તો કોઈ રાજકોટ તો કોઈ અમદાવાદથી ઇન્જેક્શન લેવા સોલા સિવિલ પહોંચ્યા. પણ ત્યાં તેમને કારણ અપાયું કે સ્ટોક નથી આવ્યો એટલે ઇન્જેક્શન મળી નહિ શકે. જે જવાબ મળતા દર્દીના પરિવારને ઇન્જેક્શન મળવાની આશા ભાંગી પડી. કેમ કે ઇન્જેક્શન લેવા આવનારમાં કોઈને એક તો કોઈને છ – છ ઇન્જેક્શન ની જરૂર હતી. તો કોઈ એવા હતા કે જેઓ ઝાયડ્સ હોસ્પિટલ બહાર કલાકો ઉભા રહર્તા લાંબી લાઈન હોવાને લઈને તેઓને સોલા સિવિલ મોકલવામાં આવ્યા પણ ઇન્જેક્શન નહિ મળતા વિલા મોઢે અને ઇન્જેક્શન હવે કયાંથી મળશે તે ચિંતા સાથે પરત ફરવું પડ્યું હતું. જે જાહેરાત છતાં ઇન્જેક્શન નહિ મળતા ઇન્જેક્શન લેવા આવનાર લોકોમાં સરકારની જાહેરાત અને કામગીરી ને લઈને નારાજગી વ્યાપી હતી.
તો આ તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન નહિ મળવાનો મામલે સોલા સિવિલ સુપરિટેનડેન્ટ નિવેદન આપ્યું. નિવેદન આપતા કહ્યું કે આઉટ સાઈડ દર્દી માટે નથી રેમડેસિવીર ઇંજેક્શન. સોલા સિવિલ દાખલ થયેલા કોરોના દર્દીઓ માટે રેમદેસીવીરનો પૂરતો સ્ટોક છે. પણ આઉટ સોર્સ માટે ઇન્જેક્શન આપ્યા છે કે નહીં તેની કોઈ જાહેરાત સરકારે નથી કરી તેમજ આઉટ સોર્સ માટે ઇન્જેક્શન પણ નથી આપ્યા. જેથી તેઓને ઇન્જેક્શન આપી શકાયા નથી.
ત્યારે આ સમગ્ર મામલે સવાલ ઉભા થાય છે કે જો હોસ્પિટલના જ દર્દી માટે ઇન્જેક્શન હતા તો તે રીતે પહેલા જાહેરાત કેમ ન કરાઇ. અને જો આઉટ સોર્સ માટે ઇન્જેક્શન આપવાના હતા તો સ્ટોક કેમ પૂરતો હોસ્પિટલમાં પહોંચડાયો નહિ. કર્મ દર્દીના પરિજનોને હોસ્પિટલથી ઇન્જેક્શન લીધા વગર પરત ફરવું પડી રહ્યું છે. જે તમામ પ્રશ્નો વચ્ચે યોગ્ય પ્રક્રિયાની માગ ઉઠી છે. જેથી દર્દીના પરિજનો ગેરમાર્ગે દોરાય નહિ અને તેઓને જરૂરિયાત પ્રમાણે સરળતાથી રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે.