Dwarka : બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન સામે તંત્રની દિવસરાત જોયા વિના કામગીરી શરૂ, ફાયર વિભાગ દ્વારા બે દિવસમાં ક્લિયર કરાયા તમામ રસ્તાઓ

Dwarka: દેવભૂમિ દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાનો કહેર બે દિવસ સુધી જોવા મળ્યો. જોકે સરકારી તંત્રના ટીમ વર્ક અને સુચારુ આયોજનને કારણે કોઈ જાનહાની ન થઈ. પરંતુ વૃક્ષો ધરાશાયી થયા, વીજપુરવઠો ખોરવાયો પરંતુ આટલા મોટા પાયે વ્યવસ્થા ખોરવાઈ ગયા પછી, કામગીરી કઈ રીતે કરવામાં આવી એ ખરેખર રોચક છે.

Dwarka : બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન સામે તંત્રની દિવસરાત જોયા વિના કામગીરી શરૂ, ફાયર વિભાગ દ્વારા બે દિવસમાં ક્લિયર કરાયા તમામ રસ્તાઓ
| Edited By: | Updated on: Jun 18, 2023 | 11:30 PM

શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં બીપરજોય વાવાઝોડામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ મોટાપાયે ખાનાખરાબી સર્જાઈ છે. દ્વારકામાં અનેક વીજપોલ ધરાશાયી થયા અને નાના મોટા ઘરોને પણ નુકસાન થયું છે. જેને ફરીથી પૂર્વવત કરવા તંત્ર દિવસરાત કામગીરીમાં જોડાઈ ગયું છે. જિલ્લામાં બીપોરજોય નામના વાવાઝોડાની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 12 હજાર જેટલા પરિવારને શેલ્ટર હોમ અને સલામતી સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 2 NDRF 1 SDRF અને એક આર્મીની ટીમ દ્વારકા જિલ્લામાં તૈનાત હતી. બે દિવસ વાવાઝોડાએ જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં કહેર મચાવ્યો. એ સૌએ જોયું. વાવાઝોડાની અસર એટલી બધી હતી કે જિલ્લામાં 13 હજાર થી વધુ વીજપોલ જમીનદોસ્ત થયા જ્યારે કેટલાક વિસ્તારોમાં સેંકડો વૃક્ષો પણ જમીનદોસ્ત થયા. આ તમામ વૃક્ષોને હટાવી ફાયર વિભાગના કર્મીઓએ રસ્તો ક્લીયર કરવાની કામગીરી કરી, તો વીજપોલથી માંડીને વીજળી કાર્યરત કરવા PGVCL, DGUCL સહિત વીજ વિભાગની ટીમો પણ કાર્યરત છે.

193 ગ્રામ પંચાયતોમાં વીજપૂરવઠો પૂન:સ્થાપિત કરવાની કામગીરી

લોકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ માટે અલગ અલગ વિભાગ અને ટીમો દ્વારા સત્વરે કામગીરી શરૂ કરી દેવાઈ. દ્રારકા જિલ્લામાં 239 ગામડાઓ પૈકી માત્ર 46 ગ્રામ પંચાયતમાં જ વીજપુરવઠો કાર્યરત છે બાકીના 193 ગ્રામ પંચાયતમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. જિલ્લાની કુલ 6 નગર પાલિકા પૈકી 4 નગર પાલિકામાં વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યારે 2 નગરપાલિકામાં વીજપુરવઠો પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા છ નગર પાલિકા પૈકી 4 માં છે બાકીની 2 પાલિકા વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યારે 239 ગ્રામપંચાયત પૈકી 44 ગ્રામપંચાયતમાં પીવાના પાણીનો પુરવઠો ચાલુ છે, જ્યારે 195 ગામોમાં પીવાના પાણીનો પુરવઠો પુનઃ ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે.

વાવાઝોડામાં 500થી વધુ વૃક્ષો ધરાશાયી

વાવાઝોડામાં 500થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ જતાં જિલ્લા વહીવટી તંત્રએ તેની ખામી પૂરી કરવા આગામી વન મહોત્સવ દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વાવી ગ્રીન કવર ફરી ઉભું કરવા પ્રયાસ કરશે. એવો દાવો કરાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડામાં થયેલા કાચા અને પાકા મકાન, ઘરવખરી સહિતની અન્ય નુકસાની માટે સરવે કરી ઝડપથી કેશડોલ ચૂકવવા તંત્રની તૈયારી હોવાનો પણ દાવો કરાયો છે.

આ પણ વાંચો : Dwarka: Cyclone Biporjoy બાદ દ્વારકામાં લોકો બન્યા ઘર વિહોણા, જીવન નિર્વાહ કરવું બન્યું મુશ્કેલ, જુઓ Video

આમ આ વખતે સરકારના નક્કર આયોજનને કારણે તંત્રના અધિકારીઓ પણ દોડતાં થયા છે. નુકસાની પછીની હેરાનગતિ સહન ન કરવી પડે એના માટે તૈયાર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. એ ઝડપથી પૂરો થાય એવી લોકોને આશા છે.
ઈનપુટ ક્રેડિટ- જય ગોસ્વામી- દેવભૂમિ દ્વારકા

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો