ભગવાન દ્વારકાધીશના મંદિર બાદ લોકો બેટ દ્વારકા દર્શન કરવા માટે જતા હોય છે અને બેટ દ્વારકા દર્શન કરવા જવા માટે ફેરીબોટનો ઉપયોગ થાય છે, પરંતુ ભારે પવન નીકળતા જેટી ઉપર બોટ લંગારી શકાવવાની શક્યતા ન હોવાને કારણે ફેરી બોટનું સંચાલન કરતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. મેરીટાઇમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાતાવરણ સામાન્ય બન્યા બાદ ફેરી બોટ સેવા પુન શરૂ કરવામાં આવશે. અગાઉ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં 6 તારીખે પણ ભારે પવન નીકળતા ફેરી બોટ સેવા સતત 3 દિવસ માટે બંધ રાખવામાં આવી હતી.
નોંધનીય છે કે ભારે પવનના હિસાબે દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ભારે મોજાના લીધે ફેરીબોટ સામાન્ય સ્થિતિ કરતા પાણીમાં વધારે હલતી હોય છે અને યાત્રિકો પાણીમાં ડગમગતી બોટમાં ચડી શકવામાં સક્ષમ નથી હોતા અને અકસ્માત થવાનો ભય રહ્યો રહે છે, ત્યારે તેમની સુખાકારી માટે આ ફેરીબોટ નું સંચાલન કરતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આ સેવા બંધ કરવામાં આવી છે જોકે પવનને પગલે અચાનક ફેરી બોટ સેવા બંધ થતા દ્વારકા આવનારા સહેલાણીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા અને તેઓ બેટ દ્વારકા દર્શન કરવા માટે જઈ શક્યા નહોતા.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા ખોરવાતા મુસાફરોની ભારે હાલાકી થઈ રહી છે. જો કે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી રોપ વે સેવા બંધ રહેવાને કારણે ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
મહત્વનું છે કે હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 28 જાન્યુઆરીના રોજ માવઠાની આગાહી કરવામાં આવી છે અને વાતાવરણમાં પલટાને કારણે દરિયાકાંઠા ઉપર ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો છે તેથી મુસાફરોની સલામતી માટે ફેરી બોટ સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.