દેવભૂમિ દ્વારકા (Devbhoomi dwarka) ખાતે શ્રાવણ મહિનાની અમાસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હજારો ભક્તોએ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ગોમતી નદીમાં (Gomti river) સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ ભક્તિભાવ સાથે ભગવાન દ્વારકાધીશના (Dwarikadhish Mandir) દર્શન કર્યા હતા. ગોમતી ઘાટ ઉપરાંત ભાવિકોએ દ્વારકામાં આવેલ 56 સીડી સ્વર્ગ દ્વારે પણ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા અને દ્વારકા તીર્થસ્થાનમાં દર્શન કરીને મોક્ષ પ્રાપ્તિની કામના કરી હતી.
દ્વારકામાં (Dwarka) જન્માષ્ટમી બાદ સતત ભક્તજનોની ભીડ ઉમટેલી રહીછે, ત્યારે દ્વારકા આવેલા સહેલાણીઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગોમતીમાં સ્નાન કરવાનો લ્હાવો લીધો હતો. તેમજ ગોમતીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોના પ્રવાહને જોતા મંદિર પરિસર દ્વારા દર્શનાર્થીઓ સુગમતાથી દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
દ્વારકાના ખંભાળિયા શહેરના પાદરમાં અંદાજિત પાંચ સદી પુરાણુ શ્રી ખામનાથ મહાદેવના મંદિર આવેલું છે અહીં દર વર્ષની જેમ અમાસે ભસ્મ આરતી શૃંગારના દર્શન કરવા માટે ભક્તજનો ઉમટી પડ્યા હતા. અમાસ નિમિત્તે આજે મોડી રાત્રે ભોળાનાથના ભસ્મ આરતી શૃંગારના દર્શન યોજવામાં આવ્યા હતા. મહાકાલેશ્વર જયોર્તિલિંગની જેમ મધરાતે યોજવામાં આવેલા આ સુંદર દર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ હોય, અમાસ નિમિત્તે યોજવામાં આવેલા ભસ્મ આરતી શૃંગારના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લીધો હતો.
દ્વારકા ખાતે ખેડૂતો ઉતર્યા ઉપવાસ પર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના જિલ્લા સેવા સદન સામે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ખાખરડાથી ભટ્ટગામ વચ્ચે પસાર થતી 220 kv ની વીજ લાઈનને લઈને ખેડૂતો આંદોલન પર બેઠા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓની જમીનમાં કે.પી. એનર્જી કંપની દ્વારા યોગ્ય વળતર ન આપી બળપૂર્વક વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે. કે.પી. એનર્જી દ્વારા પોલીસ રક્ષણ મેળવી વીજ લાઈન નાખતા ખેડૂતો દ્વારા રોકવા જતા માર મારવાનો પણ આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે જેની વિરૂદ્ધમાં ખેડૂતો આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે.
કીલેશ્વર મહાદેવના મંદિર પાસે જોવા મળ્યો મગર
દ્વારકા જિલ્લાના બરડા પંથકમાં આવેલા પ્રખ્યાત કીલેશ્વર મહાદેવના મંદિર પાસે મગર જોવા મળ્યો હતો. કીલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા રેવતીકુંડમાં પ્રવાસીઓ ન્હાવાની મોજ માણતા હતા તે સમયે ત્યાં મગર પહોંચ્યો હતો. આ મગરને જોતા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. ભાણવડ નજીક આવેલા બરડા ડુંગરમાં પ્રાચીન કીલેશ્વર મંદિરમાં શ્રાવણ માસમાં હજારો ભક્તો આવતા હોય છે તે સમયે આ રીતે મગર જોવા મળતા દોડધામ મચી ગઈ હતી.