ડાંગ ભાજપમાં રાજીનામાંનો દોર શરૂ થતાં રાજકારણ ગરમાયું, સંગઠન પ્રમુખ સહિત 5ના રાજીનામા

ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં આંતરિક જુથવાદ ચાલી રહ્યો હોવાનું ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આ આંતરિક જુથવાદ આગામી સમયમના ભાજપને ભારે પડે તેવો ઘાટ સર્જાયો છે.

ડાંગ ભાજપમાં રાજીનામાંનો દોર શરૂ થતાં રાજકારણ ગરમાયું, સંગઠન પ્રમુખ સહિત 5ના રાજીનામા
| Edited By: | Updated on: Apr 04, 2023 | 5:34 PM

હાલમાં જ જ્યારે ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં આંતરિક જુથવાદ ચાલી રહ્યો હોવાનું ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આ આંતરિક જુથવાદ આગામી સમયમાં ભાજપને ભારે પડે તેવો ઘાટ સર્જાયો છે. ક્યાં કારણોને લઈ જુથવાદ ડાંગ જિલ્લા સંગઠનમાં સર્જાયો તેની વાત હજી પણ સામે નથી આવી. પરંતુ આ વિખવાદ રાજીનામાં સુધી પહોચ્યો છે. જે મુદ્દો ડાંગના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સંગઠનમાં આંતરિક વિખવાદ હોવાની વાત

હાલમાં જ ડાંગ ભાજપ સંગઠનના હોદેદારોએ એક બાદ એક રાજીનામાં આપી સંગઠનથી છૂટા પડ્યા હોવાની વાત સામે આવી છે. જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ દશરથ પવાર, આહવા મંડળના પ્રમુખ સંજય વ્યવહારે અને લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહના રાજીનામા સામે આવ્યા હતા. આ તમામ હોદેદારોએ લેખિતમાં રાજીનામું આપ્યું છે, જેમાં રાજીનામાં પત્રમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે સંગઠનના આંતરિક વિખવાદને કારણે અમે રાજીનામું આપીએ છીએ. આ રાજીનામાંનું લેટર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે.

પ્રદેશ પ્રમુખને ફરિયાદ

પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને સંબોધીને આ પત્રો લખવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું. હોદ્દેદારોના રાજીનામાં જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. તેમાં પણ આજ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ડાંગ ભાજપ સંગઠનમાં ચાલી રહેલા જુથવાદને લઈને ફરિયાદ કરી રહ્યા હોય તેવો ભાવ આ રાજીનામાં પત્રોમાં જણાઈ આવે છે.

આ પણ વાંચો : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, ભાજપના સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે

અન્ય રાજીનામાં પડવાની શ્ક્યતા

ભાજપમાં સંગઠન પ્રમુખ બાદ અન્ય લોકો પણ રાજીનામાં આપવા આગળ આવ્યા હતા. ડાંગ જિલ્લા અનુસૂચિતજાતિ મોરચાના પ્રમુખ પ્રવીણ આહિરે અને અનુસૂચિતજાતી મોરચાના મહામંત્રી બાળુભાઈ ગવળીએ રાજીનામુ આપ્યું છે. એક બાદ એક રાજીનામાં આપવાને લઈ હવે આગામી સમયમાં કેવું વાતાવરણ ડાંગ ભાજપમાં સર્જાય તે હવે જોવા જેવુ થશે.

પ્રદેશ સંગઠન દ્વારા કોઈ પ્રતિક્રિયા નહીં

આમ હાલમાં ડાંગ જિલ્લામાં કુલ 5 જેટલા સંગઠનમાં કામ કરતાં હોદેદારોએ રાજીનામાં આપ્યા હોવાની વાત સામે આવી છે. જિલ્લા પ્રમુખ દશરથ પવાર, આહવા મંડળના પ્રમુખ સંજય વ્યવહારે અને લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહ તેમજ અનુસૂચિતજાતિ મોરચાના પ્રમુખ પ્રવીણ આહિરે અને અનુસૂચિતજાતી મોરચાના મહામંત્રી બાળુભાઈ ગવળીના રાજીનામાં પર પ્રદેશ સંગઠન દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજી પણ રાજીનામાં પડે તેવી લોક ચર્ચા ચાલી રહી છે.