Dahod : જિલ્લાના જાલોદ તાલુકાની લીલવા પ્રાથમિક શાળા ખંડેર બની ગઈ છે. શાળાના જર્જરીત ઓરડાની છતમાંથી પોપડા પડી રહ્યા છે. કોરોનાની લહેર હળવી થતા હવે સરકાર શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કરવાની તૈયારીમાં છે. ત્યારે ભૂલકાઓને માથે ઝળૂંબતા મોતની દહેશત વચ્ચે ભણવાની ફરજ પડશે.
અગાઉ શાળાના ઓરડાની છતમાંથી પોપડા પડતા કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.આ અકસ્માતમાંથી પણ બોધપાઠ ના લઈ શિક્ષણ વિભાગ શાળાના મરામ્મત મુદ્દે ઉદાસીનતા સેવી રહ્યું છે. ગામલોકોએ અગાઉ આ પ્રશ્ને શાળામાં તાળાબંધી પણ કરી હતી, છતા પણ શિક્ષણ વિભાગ દ્વારા શાળાની બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવી રહ્યું નથી.
લીલવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાના પગલે હાલ ગ્રામજનોમા ભારે રોષ છે. કોરાનાની મહામારી બાદ ધીરે ધીરે બધુ સામાન્ય થતુ જાય છે. માધ્યમિક શાળાઓ શરુ થયા બાદ તબક્કાવાર પ્રાથમિક શિક્ષણ પણ આવનાર દિવસોમાં શરુ થનારુ છે.
પરંતુ જયાં શિક્ષણ લેવા જવાનું છે એ શાળા તો જાણે ખંડેર બની ગઇ છે. અગાઉ પણ ચાલુ શાળામાં વિદ્યાર્થીઓ ઉપર છતના પોપડા પડ્યા હતા. જેના કારણે બે બાળકોને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. ત્યારે જો ફરીથી શિક્ષણ શરુ થાય અને કોઇ જાનહાની થાય તો જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
આ શાળાની ગ્રામલોકો દ્વારા તાળાબંધી પણ કરવામાં આવી હતી. તેમછતા નિંદ્રાધીન શિક્ષણ વિભાગ કંઇ જ જાણીતું ન હોય તેમ સબ સલામતના દાવા કરી રહ્યું છે.
Published On - 7:59 am, Thu, 19 August 21