ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા છે. ગાંધીનગરના કમલમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે કોઇપણ જાતની અપેક્ષા વિના હું ભાજપમાં જોડાયુ છું. તેમણે જણાવ્યુ કે સહકારી ક્ષેત્રમાં હું લાંબા સમયથી સક્રિય છુ. તેથી ભાજપ મને જે નાની મોટી જવાબદારી આપશે તે હું પૂર્ણ કરીશ.
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમા રકાસ બાદ વધુ એક પૂર્વ ધારાસભ્ય અને મધ્ય ગુજરાતના સિનિયર નેતાએ કોંગ્રેસને રામ-રામ કરી દીધા છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને રાજીનામુ આપી ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ મીડિયા સમક્ષ કાંતિ સોંઢા પરમારે કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસમાં કોઇને કાર્યકરોની પડી નથી. કોંગ્રેસ તેમના કાર્યકરોને છુટા મુકી દીધા છે. તેમજ દિલ્હીથી કોંગ્રેસના કોઇ અધિકારી મદદ કરવા આવતા નથી. પક્ષને મજબૂત કરવા કોંગ્રેસના નેતાઓ કશુ કરતા નથી. જ્યારે ભાજપ તેમના નાનામાં નાના કાર્યકરોને સાચવે છે.
મહત્વનું છે કે ભાજપમાં જોડાતા પહેલા કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને રાજીનામુ મોકલ્યુ હતુ. જે પછી તે ભાજપમાં સામેલ થઇ ગયા છે. કમલમ ખાતે ભાજપમાં જોડાયા બાદ કાંતિ સોઢા પરમારે PMની કામ કરવાની રીતના વખાણ કર્યા છે. આ સાથે કાંતિ સોઢા પરમારે આણંદ અને મધ્ય ગુજરાતના વિકાસ માટે ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું છે.
આણંદ બેઠક પરથી વર્ષ 2017માં કાંતિ સોઢા પરમાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. જો કે ગત ચૂંટણીમાં એટલે કે વર્ષ 2022ની વિધાનસભાની કાંતિ સોઢા પરમારની ભાજપના ઉમેદવાર સામે થઇ હતી. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ ઘણા સમયથી સક્રિય છે.
Published On - 1:23 pm, Mon, 30 January 23