
ગુજરાતમાં ચૂંટણી પહેલા આજે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળી. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. તેમજ યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા કમિટીની રચના કરાઇ છે. આ સમિતિનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે. અગાઉ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરકારોએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના તેમના નિર્ણયની જાહેરાત કરી હતી.
રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 29, 2022
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.
કેન્દ્રએ આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે સંસદને દેશમાં સમાન નાગરિક સંહિતા પર કોઈ કાયદો ઘડવા અથવા લાગુ કરવા માટે નિર્દેશ આપી શકે નહીં. કાયદા અને ન્યાય મંત્રાલયે તેના સોગંદનામામાં કહ્યું છે કે નીતિનો મામલો લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નક્કી કરવાનો છે અને આ સંદર્ભમાં કેન્દ્ર દ્વારા કોઈ નિર્દેશ જાહેર કરી શકાય નહીં. મંત્રાલયે સુપ્રીમ કોર્ટને કહ્યું કે શું વિધાનસભાએ કાયદો બનાવવાનો છે કે નહીં.
માર્ચ 2022માં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડમાં સમાન નાગરિકા સંહિતા એટલે કે યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય મંત્રીમંડળે આ નિર્ણયને સર્વસંમતિથી પોતાની સહમતિ નોંધાવી છે અને હવે બહુ જલ્દીથી વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવશે અને રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે ભારતને આઝાદી મળ્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અથવા સમાન નાગરિક સંહિતાના અમલની માગણી સતત થતી રહી છે. યુસીસી એક એવો કાયદો હશે કે જેમાં કોઈ ધર્મ, જાતિ અને જાતીય અભિગમની દરકાર કરશે નહીં. દેશના બંધારણમાં પણ જણાવવામાં આવ્યું છે કે દેશે તેના નાગરિકો માટે આવો કાયદો ઉપલબ્ધ કરાવવાના ‘પ્રયાસ’ કરવા જોઈએ.
Published On - 4:04 pm, Sat, 29 October 22