અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યુ છે. આજે ગાંધીનગરમાં અંબાજી મંદિર ટ્રસ્ટના સભ્યોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે બેઠક મળી હતી. જે પછી આ વિવાદનો અંત આવ્યો છે અને મોહનથાળના પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે પ્રસાદ શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યુ છે.
અંબાજી મંદિરમાં છેલ્લા 12 દિવસથી મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવ્યુ હતુ. અહીં આવતા દરેક ભક્તોની લાગણી હતી કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવામાં આવે. ત્યારે આ મામલામાં અંતે સરકારે મધ્યસ્થી કરી છે. ગાંધીનગરમાં બપોરે અંબાજી મંદિરના સંચાલકોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં મંદિરમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
અંબાજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી મોહનથાળનો પ્રસાદ બંધ થવાને લઇને વિવાદ ચરમ સીમા પર હતો. કેટલાક સ્થાનિક લોકો, ભક્તો અને હિંદુ સંગઠનો દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઇને છેલ્લા થોડા દિવસથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. જો કે આ વિવાદનો અંત આવી ગયો છે. છેલ્લા થોડા દિવસથી તો દાતાની મદદથી અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યુ હતુ.
ચીકીનો પ્રસાદ જે શરુ કરવામાં આવ્યો છે તે શરુ જ રહેશે. તેની સાથે સાથે જ મોહનથાળનો પ્રસાદ પણ શરુ રાખવામાં આવશે. મંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ મધ્યસ્થી કરતા બંને પ્રસાદ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. અંબાજી ટ્રસ્ટના આગેવાનો સાથે તેમણે બેઠક કરી હતી. જો કે આ બેઠકમાં પ્રસાદની ગુણવત્તાને લઇને ચોક્કસ સૂચનો કરવામાં આવ્યા છે.
અંબાજીમાં ઘણા વર્ષોથી મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવતુ હતુ. ત્યારે આ પ્રસાદ સાથે ભક્તોની આસ્થા પણ જોડાયેલી હતી. ત્યારે ભક્તોના આસ્થાની જીત થઇ છે. મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાના નિર્ણયથી ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
Published On - 2:36 pm, Tue, 14 March 23