અંબાજી મંદિર મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આજે જ આવે તેવી શક્યતા છે. અંબાજી મંદિરમાં ફરી મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ થઈ શકે છે. ચીકીને લઈને વિવાદ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે કવાયત થઇ છે. તો સરકાર દ્વારા પણ મધ્યસ્થી કરાઈ હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. હવે ચીકી સાથે મોહનથાળનો પણ પ્રસાદ પણ મળી શકે છે. મંદિર દ્વારા પ્રસાદના 2 ઓપ્શન આપવામાં આવી શકે છે. મોડી સાંજ સુધીમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે.
અંબાજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી મોહનથાળનો પ્રસાદ બંધ થવાને લઇને વિવાદ ચરમ સીમા પર છે. કેટલાક સ્થાનિક લોકો, ભક્તો અને હિંદુ સંગઠનો દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઇને છેલ્લા થોડા દિવસથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જો કે આજે જ આ વિવાદનો અંત આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
પ્રસાદના વિવાદને લઇને ગુજરાત સરકાર દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હોય તેવી જાણકારી મળી રહી છે. મોહનથાળના સ્થાને મંદિર દ્વારા ભક્તોને ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રસાદના આ વિવાદનો અંત લાવવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કવાયત કરવામાં આવી છે. ત્યારે હવે સરકાર દ્વારા મધ્યસ્થી કરીને આજે જ વિવાદનો અંત લાવવામાં આવે તેવી સંભાવના છે.
અંબાજી મંદિરમાં છેલ્લા 12 દિવસથી મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવ્યુ છે. જો કે અહીં આવતા દરેક ભક્તોની લાગણી છે કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવામાં આવે. ત્યારે વિવાદનો અંત લાવવા મંદિરમાં બે પ્રસાદનો વિકલ્પ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચીકીનો પ્રસાદ જે શરુ કરવામાં આવ્યો છે તે શરુ જ રહેશે. તેની સાથે સાથે જ મોહનથાળનો પ્રસાદ પણ શરુ રાખવામાં આવશે. મંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ મધ્યસ્થી કરશે તેવી માહિતી છે. અંબાજી ટ્રસ્ટના આગેવાનો સાથે તેઓ બેઠક કરશે. બટુક મહારાજ અને મંદિરના સંતો આ બેઠકમાં હાજર રહેશે. બપોરે 2 કલાક આસપાસ ગાંધીનગર ખાતે બેઠક યોજાશે. આજે મોડી સાંજ સુધીમાં આ અંગેનો નિર્ણય લેવાઇ શકે છે. સત્તાવાર રીતે પણ આ અંગેની જાહેરાત થઇ શકે છે.
(વિથ ઇનપુટ- રોનક વર્મા,અમદાવાદ)
Published On - 11:05 am, Tue, 14 March 23