Botad Hooch Tragedy: ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ દારૂકાંડના અસરગ્રસ્તોની લીધી મુલાકાત, દારૂ ન પીવા લેવડાવ્યો સંકલ્પ, જુઓ વીડિયો

|

Jul 30, 2022 | 8:58 PM

Botad Hooch Tragedy: ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા ઝેરી દારૂકાંડના અસરગ્રસ્તોને મળ્યા હતા અને હાથમાં જળ રાખી ભવિષ્યમાં ક્યારેય દારૂ ન પીવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ સાથે જે દારૂકાંડના મૃતકોના પરિવારોને અનાજની કીટ સાથે કવરમાં ફુલ અને તો ફુલની પાંખડી રૂપી સહાય અપાઈ હતી.

Botad Hooch Tragedy: ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ દારૂકાંડના અસરગ્રસ્તોની લીધી મુલાકાત, દારૂ ન પીવા લેવડાવ્યો સંકલ્પ, જુઓ વીડિયો
દારૂ ન પીવા લેવડાવી પ્રતિજ્ઞા

Follow us on

ભાજપ(BJP)ના પ્રવક્તા ભરત પંડ્યાએ બોટાદના બરવાળાના રોજિદ ગામે બનેલ ઝેરી દારૂકાંડ (Hooch Tragedy)ના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. રોજિદ ગામે બનેલી ઝેરી દારૂકાંડની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આશરે 43 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો અસરગ્રસ્ત છે, ત્યારે હોસ્પિટલમાંથી સારવાર લઈને પરત આવેલા હિંમતભાઈને ભરત પંડ્યા મળ્યા હતા. આ સાથે તેમણે ઝેરી દારૂકાંડના તમામ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી અને જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારોને અનાજની કિટ સાથે કવરમાં ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપી સહાય આપી હતી. આ દરમિયાન ભરત પંડ્યા (Bharat Pandya)એ હોસ્પિટલમાં સારવાર લઈને સાજા થયેલા અસરગ્રસ્તનો હાથમાં જળ અને તુલસીનું પાન રખાવી ભવિષ્યમાં ક્યારેય દારૂ ન પીવા માટે સંકલ્પ લેવડાવ્યો હતો. જેમાં દારૂ પીવાનું તો દૂર દારૂની સામે જોશે પણ નહીં અને દારૂ અંગે વિચારશે પણ નહીં તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી.

જુઓ વીડિયો

અસરગ્રસ્ત પરિવારોને અનાજની કિટ આપી પહોંચાડી મદદ

ઝેરી દારૂકાંડની આ દુર્ઘટનામાં અનેક પરિવારોના માળા વિખાઈ ગયા છે. કોઈએ પરિવારનો મોભી ગુમાવ્યો તો કોઈએ ભાઈ તો કોઈ માતાએ દીકરો, આ દુર્ઘટનાનાએ જે ઉજરડા આપ્યા છે તે વર્ષો સુધી આ પીડિત પરિવારો ભૂલી શકશે નહી. ઝેરી દારૂકાંડની ઘટનામાં અનેક પરિવારોએ પોતાના ઘરનો આધાર ગુમાવ્યો છે અને તેની ભરપાઈ કોઈ સરકારો કરી શકવાની નથી. આ સમગ્ર ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા ભરત પંડ્યાએ અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી. તેમણે સંવેદના બતાવતા ભોગ બનનાર પરિવારોને અનાજની કિટ અને કવરમાં તેમને જે થોડી મદદ થઈ શકે તે હેતુથી ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપી સહાય કરી હતી.

ઝેરી દારૂકાંડના સંસદ સુધી પડઘા

આપને જણાવી દઈએ કે બોટાદના રોજિદ ગામની ઝેરી દારૂકાંડની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. વિપક્ષ પણ આ મુદ્દે સડકથી લઈને સંસદ સુધી વિરોધ કરી રહ્યો છે અને સરકારને ઘેરવાની એક તક છોડવા માગતો ન હોય તેમ પ્રહારો કરી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી અમલી હોવા છતા આ પ્રકારની કલંકરૂપ ઘટના રાજ્યમાં દારૂબંધીના અમલના લીરેલીરા ઉડાડી રહી છે. આ સમગ્ર ઘટના પર કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ શુક્રવારે ટ્વીટ કરી સરકાર પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે ” ‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક ઘર ઉજડી ગયા છે. અહીં સતત અબજો રૂપિયાનું ડ્રગ્સ પણ મળી રહ્યુ છે આ ઘણી ચિંતાજનક ઘટના છે. બાપુ અને સરદાર પટેલની ભૂમિ પર આ કોણ લોકો છે જે બેફામ નશાનો કારોબાર કરી રહ્યા છે? આ માફિયાઓને કઈ સત્તાધારી શક્તિઓ સંરક્ષણ પુરુ પાડી રહી છે.?”

આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઝેરી દારૂકાંડની આ ઘટના પર સરકાર પર આરોપ લગાવ્યો કે ગુજરાતમાં બુટલેગરોને રાજકીય સંરક્ષણ મળી રહ્યુ છે.

21થી વધુ આરોપી જેલ હવાલે

હાલ આ સમગ્ર ઘટના પર સરકાર પણ તાબડતોબ કાર્યવાહીમાં લાગી ગઈ છે અને કોઈપણ કસર ન છોડવા માગતી હોય તેમ સંબંધિત વિસ્તારમાં કામગીરી ન કરવા માટે 4થી વધુ પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી દીધા, જ્યારે એસપીની બદલી કરી દેવાઈ છે. ઉપરાંત સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 21 આરોપીઓને શોધીને જેલ હવાલે કરાયા છે અને આ કેસની કાર્યવાહી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવી રહી છે.

Next Article