Bhavnagar : ભાવનગર શહેરમાં આ વર્ષે 36 મી વખત રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. શહેરમાં દર વર્ષે ઐતિહાસિક રથયાત્રાનું ભવ્ય આયોજન થાય છે અને આખું ભાવનગર ભગવાન જગન્નાથમય બની જાય છે.
જ્યારે ગયા વર્ષે કોરોનાને કારણે રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોવિડની બીજી લહેર મંદ પડતા રથયાત્રા સમિતિ દ્વારા આવતી 12/7 ના રોજ યોજાનારી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ત્યારે ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રાના આયોજનને લઈને રથયાત્રા અગાઉની ધાર્મિક વિધિઓ, શિખર પર નિલચક્ર અને ઘુમટ પર કળશનું પૂજા અર્ચના કરી શાસ્ત્રોકત વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું.
આ સિવાય ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના ખાસ પ્રકારના વાઘા તૈયાર કરવામાં આવેલ છે. રથની સફાઈ શરૂ કરી દેવામાં આવેલ છે.અને રથયાત્રા પહેલા બાકી રહેતી તમામ વિધિઓ પુરી કરવામાં આવશે.
રથયાત્રા સમિતિના પ્રમુખ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે અમે રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છીએ. પરંતુ રાજ્ય સરકાર જે પ્રકારે મંજૂરી આપે તે પ્રમાણેજ સંપૂર્ણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરી રથયાત્રાનું આયોજન કરાશે.
બીજી તરફ રાજ્ય સરકારનો જે નિર્ણય રથયાત્રાને લઈને આવે તે પણ હાલ ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાને લઈને શહેરમાં સઘન ચેકીંગ હાથ ધરેલ છે. આ સિવાય ગેરકાયદે હથિયારો જપ્ત કરેલ છે અને શહેરમાં આવતા દિવસોમાં રથયાત્રા સહિતના આવતા તહેવારોને લઈને શાંતિ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
Published On - 2:59 pm, Wed, 7 July 21