ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા જતી રોપેક્સ ફેરી ગઈકાલે મોડી સાંજે(24.11.23) દરિયામાં ફસાઈ ગઈ. રોપેક્સ ફેરી કાદવમાં ફસાઈ જતાં 500 મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા. કારણ કે આખું જહાજ 15 ફૂટ જેટલું નમી ગયું હતું. એકતરફ લોકો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. બીજી તરફ રોપેક્સ ફેરીના અધિકારીઓ અને ઘોઘા પોલીસને ફોન પર ફોન કરવા છતાં કોઈ સરખા જવાબ નહોતા આપતા તેવો મુસાફરોનો આક્ષેપ છે.
મુસાફરોના જણાવ્યા પ્રમાણે સરકારી તંત્રની બેદરકારીના કારણે કલાકો સુધી મુસાફરો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમતા રહ્યા. આખરે 5થી 6 કલાક પરેશાન થયા બાદ રોપેક્સ ફેરીને ઘોઘા ટર્મિનલ પર પરત લાવવામાં આવી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. મુસાફરોનો આક્ષેપ છે કે તેઓ દરિયામાં ફસાઈ ગયા હોવા છતાં તેમને તાત્કાલિક મદદ ન મળી. આખરે મુસાફરોએ ભાવનગર કલેક્ટરને ફોન કરતાં પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.
મુસાફરો પ્રમાણે, રોપેક્સ ફેરી ગત સાંજે 4.30 કલાકે ઘોઘાથી હજીરા જવા નીકળી હતી. તેમાં 500 મુસાફરો અને 60થી વધુ નાના-મોટા વાહનો હતા. રોપેક્સ ફેરી 400થી 500 મીટર આગળ વધી હતી અને ત્યાં જ કાદવમાં ફસાઈ જતાં જહાજને રોકી દેવાયું હતુ. આ દરમિયાન જહાજ દરિયાની વચ્ચે 15 ફૂટ જેટલું નમી ગયું હતું. અનેક પ્રયત્નો બાદ પણ જહાજ આગળ ન વધતાં ટગની મદદ લેવાઈ હતી અને પાણીનું લેવલ ઊંચું આવવાની રાહ જોવી પડી હતી. મુસાફરો 5થી 6 કલાક પરેશાન થયા બાદ આખરે પાણીનું લેવલ ઊંચું આવતાં જહાજને ફરીથી ઘોઘા ટર્મિનલ પરત લવાયું હતું. ત્યારબાદ મુસાફરો ત્યાંથી ઘરે રવાના થયા હતા.
આ પણ વાંચો: જુનાગઢમાં માત્ર 2 દિવસમાં 3.85 લાખ લોકોએ પુરી કરી લીલી પરિક્રમા, જુઓ પરિક્રમાના આકાશી દૃશ્યો- વીડિયો
મુસાફરોના જણાવ્યા પ્રમાણે, રો-રો ફેરીમાં અવાર-નવાર આવી ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતી. હાલમાં આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતો હોવા છતાં જાણે ધક્કા મારીને ચલાવવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે. બીજીતરફ અધિકારીઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે અને ઘટનામાં જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવાના દાવા કરી રહ્યા છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:13 pm, Fri, 24 November 23