દેશમાં સદા અગ્રેસર રહેનારું આપણું ગુજરાત રાજ્ય હવે આયુર્વેદિક ક્ષેત્રમાં પણ નેતૃત્વ કરી સમગ્ર વિશ્વને દિશા બતાવવા માટે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં મોણપુર ગામમાં ગ્લોબલ આયુર્વેદ હબ (Global Ayurveda hub) આકાર પામી રહ્યું છે.
મોણપુર સ્ટેટના રાજવી તથા સરપંચ રાજદીપસિંહ ગોહિલે આગામી દિવસોમાં નિર્માણ પામનાર ગ્લોબલ આયુર્વેદ હબ પ્રોજેક્ટ માત્ર મોણપુર જ નહીં પરંતુ સમગ્ર તાલુકા અને જિલ્લાના વિકાસ માટે ઘણું મદદરૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રોજેક્ટના કારણે સમગ્ર તાલુકાના લોકોની રોજગારીનો દર વધશે તથા તેમનું જીવનધોરણ ઉંચુ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. અને મોણપુર ગામ તથા ગામવાસીઓ તરફથી ગ્લોબલ આયુર્વેદ હબ પ્રોજેક્ટને સંપૂર્ણ સાથ અને સહકારની ખાતરી આપવામાં આવી છે.
ગુજરાત રાજ્ય આયુર્વેદ બોર્ડના ચેરમેન હસમુખભાઈ સોનીએ જણાવ્યું કે મોણપુર ગામ ખાતે આકાર લેનાર ગ્લોબલ આયુર્વેદ હબ એ એક અનોખા પ્રકારનું અને વૈશ્વિક કક્ષાનું આરોગ્યલક્ષી નિર્માણનો વિચાર છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત આયુર્વેદના ભગવાન શ્રી ધન્વંતરી દેવનું વિશ્વ કક્ષાનું મંદિર, આયુર્વેદ ગ્રામ, આયુર્વેદ રિસર્ચ સેન્ટર, આયુર્વેદ કોલેજ, આયુર્વેદ યુનિવર્સિટી, આયુર્વેદ ઔષધિ તથા દવા બનાવતી કંપનીઓના 800થી વધારે કંપનીઓના મેન્યુફ્રેક્ચરિંગ યૂનિટ્સ તથા આ ઔષધિ અને દવાના ઉત્પાદન માટે જરૂરી વનસ્પતિ- ઔષધિઓનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, વિશ્વ કક્ષાનું આયુર્વેદિક દવાનું માર્કેટ તથા બીજું ઘણું બધું એક જ નેજા હેઠળ અસ્તિત્વમાં આવશે.
ફક્ત રાજ્ય કે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના નાગરિકો આયુર્વેદના માધ્યમથી વધારે આરોગ્યપ્રદ જીવન જીવી શકે તેનું સચોટ માર્ગદર્શન અને યોગ્ય દિશા-નિર્દેશ મળી રહે તેવું અહીં આયોજન કરવામાં આવનાર છે.
ગુજરાત રાજ્ય આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર કિરીટભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વિશ્વ કક્ષાના આરોગ્યલક્ષી પ્રોજેક્ટથી ગુજરાત રાજ્યનું નામ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઝળહળી ઉઠશે. આ સાથે તેમણે આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ જરૂરી અને આરોગ્ય અભ્યાસુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવા આંતરરાષ્ટ્રીય કક્ષાના બોટોનિકલ ગાર્ડનના નિર્માણનું પણ આયોજન અહીં કરવામાં આવે તેવો વિચાર વ્યક્ત કર્યો.
ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ ટાઉન પ્લાનર પીએલ શર્માએ પ્રસંગને અનુરુપ બાબતે જણાવ્યું કે સમગ્ર દેશભરમાં આ પ્રકારના નિર્માણનો વિચાર પણ એક મહત્વની બાબત છે. તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન તથા નિર્માણ કરતી વખતે જે-તે પ્રોજેક્ટની ગુણવત્તા ચકાસણી, અભ્યાસ, આર્થિક યોગ્યતાના માપદંડો તથા રોજગારલક્ષી બાબતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.
આ પણ વાંચો : 15 વર્ષના છોકરાએ 9 વર્ષની મામાની બહેન પર આચર્યું દુષ્કર્મ, પકડાઈ જવાના ડરથી તેને મારી નાખવાની આપી ધમકી
આ પણ વાંચો : આ દેશમાં રસી લેનાર યુવાનોને સરકાર આપશે ગિફ્ટ, પીઝા ડિસ્કાઉન્ટથી લઈને શોપિંગ વાઉચરો છે સામેલ