સરકારી યોજનાઓને 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડનાર ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ ના શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદી Bureaucrats India profiles 22 prolific officers માં પસંદગી પામ્યા છે. 22 શ્રેષ્ઠ સનદી અધિકારીઓમાં એક માત્ર ગુજ્જુ IAS અધિકારી તુષાર સુમેરા યાદીમાં સ્થાન પામ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્કૃષ્ઠ કામગીરી માટે જેમની પીઠ થપથપાવી ચુક્યા છે તેવા તુષાર સુમેરાસનદી અધિકારી બનવા માંગતા અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. તુષાર સુમેરા પોતાની SSC ની માર્કશીટ શેર કરી નબળું પરિણામ પ્રગતિનું સ્પીડ બ્રેકર નહિ પરંતુ પ્રગતિ માટેની પ્રેરણા હોવાનું મોટું ઉદાહરણ પૂરું પડ્યું હતું. સરકારી શાળામાં અભ્યાસ કરીને દેશના શ્રેષ્ઠ સનદી અધિકારી સુધીની સફર ખેડનાર તુષાર સુમેરા વિશેની આ માહિતી ખુબ પ્રભાવિત કરે તેવી છે.
તુષાર સુમેરાએ રાજકોટની સરકારી શાળા ચૌધરી હાઇસ્કુલમાં અભ્યાસ કરતા ધો.10ની SSC બોર્ડની પરીક્ષા આપી હતી. તેમની SSC બોર્ડની પરીક્ષાની માર્કશીટ જોતા માર્કશીટ દેશના ખ્યાતિ પ્રાપ્ત IAS અધિકારીની છે તેવું ક્યારેય મન સ્વીકારે નહિ. તુષાર સુમેરાનાં અંગ્રેજીમાં 35 માર્કસ, ગણિતમાં 36 માર્કસ અને વિજ્ઞાનમાં 38 માર્કસ આવ્યા હતાં. નબળા પરિણામ છતાં તેમને આર્ટસમાં એડમિશન લઈ બી.એડની ડીગ્રી પણ હાંસલ કરી હતી.
બી.એડ થયા બાદ તુષાર સુમેરાએ ચોટીલાની એક સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરી હતી. આ સમયે તેમનો પગાર માત્ર 2,500 રૂપિયા હતો. ધોરણ 10 ની માર્કશીટના આધારે પોતાને કઠિન પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણ માટે લાયક ન હોવાનું સ્વીકારી તુષાર સુમેરા હાથ ઉપર હાથ રાખી બેસી રહ્યા હોત તો આજે એ જિલ્લા કલેકટર જેવી જવાબદાર અને મહત્વની પોસ્ટ ઉપર પહોંચી શકતે નહિ. ધોરણ 10 ના પરિણામ બાદજ તેમણે અથાક પરિશ્રમ કરવાનું નક્કી કરી લીધું હતું . ધોરણ 10 ની પરીક્ષા માંડ પાસ કરનાર તુષાર સુમેરા સનદી અધિકારી બનવાનું સપનું જોતા ત્યારે ક્યારેક લોકોની મજાકનો પણ ભોગ બન્યા હતા પણ ધ્યેય નિશ્ચિત હતું જેને હાંસલ કરીનેજ તેમણે સંતોષ માન્યો હતો.
તુષાર સુમેરા વર્ષ 2012ના વર્ષમાં દેશની સૌથી કઠિન UPSC પરીક્ષા પાસ કરી IAS અધિકારી બન્યા છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેકટર તરીકે તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અંતર્ગત કરેલા કામની નોંધ લીધી હતી. કુનેહના કારણે તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાને અનેક યોજનાઓના 100 ટકા કવરેજ ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
16 જૂને ભરૂચના દહેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ‘ માય લિવેબલ ભરૂચ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ આ પ્રોજેક્ટ થકી ભરૂચ શહેરને હેપ્પી , ગ્રીન અને ક્લીન બનાવવાની નવતર પહેલનું સ્વપ્ન જોયું છે જેને સાકાર કરવા વહીવટીતંત્ર સાથે સામાજિક અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ ઉપરાંત નાગરિકો જોડાઈ રહ્યા છે.ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૌરાણિક નગરી ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન “માય લિવેબલ ભરૂચ” ની શરૂઆત થઈ છે.
Published On - 9:29 am, Wed, 25 January 23