જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપની આલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડના અંકલેશ્વર પ્લાન્ટમાં આગ લાગી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. બપોરે 12 વાગ્યાના અરસામાં કંપનીના પ્લાન્ટમાંથી કાળા ધુમાડા નીકળતા નજરે પડ્યા બાદ આખો વિસ્તાર સાયરનોના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. દોડધામ વચ્ચે કંપનીના કર્મચારીઓ અને કામદારોને પ્લાન્ટની બહાર ખસેડી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરાયા હતા. કંપનીમાં ફાયરબ્રિગેડ , એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓની દોડધામ સ્પષ્ટ નજરે પડી રહી છે. હજુ સુધી આગ અંગે કોઈ સત્તાવાર નિવેદન કંપની કે કોઈ સરકારી એજન્સી દ્વારા જાહેર કરવામાં ન આવતા ઘટનાની ગંભીરતા અને નુકસાનનો અસલ અંદાજ સામે આવ્યો નથી.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત આલ્કેમ લેબોરેટરીઝ કંપનીમાં આગ લાગી: ફાયરફાઈટર ઘટનાસ્થળે #Ankleshwar #GIDC #Bharuch #Gujarat #TV9News pic.twitter.com/MXtFKxwZIL
— Tv9 Gujarati (@tv9gujarati) December 10, 2022
ઘટના બાદ કંપનીએ પણ નિવેદન જાહેર કર્યું છે. કંપનીના અધિકારી રાજસિંહ શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના બપોરના અરસામાં બની હતી જેમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. કંપનીના તમામ કર્મચારીઓ અને કામદારોને સુરક્ષિત ઘટનાસ્થળથી દૂર ખસેડીલેવમાં આવ્યા છે. કાચ તૂટવાથી એક કર્મચારીને પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેને સારવાર આપવામાં આવી છે. આગની ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર મદદે બોલાવાયા હતા. 5 ફાયરફાઈટરોની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે.
આગની ઘટનામાં લાખ્ખો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આગ ક્યાં કારણોસર લાગી તેની પ્રારંભિક તપાસમાં કોઈ માહિતી બહાર આવી શકી નથી. ઘટના ક્યાં કારણોસર બની તેની હકીકત બહાર લાવવા કંપની તરફથી તપાસના આદેશ કરાયા છે. કંપની ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ , જીપીસીબી અને અંકલેશ્વર પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. બનાવમાં એક કર્મચારીને પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. ઘટનાની જાણવાજોગ નોંધ હેઠળ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે સમયાંતરે ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની ઘટનાઓ સ્થાનિકો અને કર્મચારીઓ માટે ચિંતાનું કારણ બની રહી છે.
Published On - 12:59 pm, Sat, 10 December 22