31 ડિસેમ્બરને લઈ આંતરરાજ્ય સરહદો પર પોલીસની સતર્કતા વધારાઈ, રતનપુર બોર્ડર પર કડક ચેકિંગ શરુ

રતનપુર બોર્ડર વિસ્તાર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યુ છે. અહીં રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. બોર્ડર સાથેના અન્ય નાના મોટા આંતરરાજ્ય રસ્તાઓ પર પણ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

31 ડિસેમ્બરને લઈ આંતરરાજ્ય સરહદો પર પોલીસની સતર્કતા વધારાઈ, રતનપુર બોર્ડર પર કડક ચેકિંગ શરુ
Ratanpur border પર ચેકિંગ વધારાયુ
| Updated on: Dec 28, 2022 | 7:34 AM

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં દારુ અને અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસાડાતો હોવાને લઈ પોલીસ સતત સરહદી માર્ગો પર સતર્ક રહેતી હોય છે. હાલમાં ખાસ કરીને 31 ડિસેમ્બરને લઈ સતર્કતા વધારી દેવામાં આવી છે. શામળાજી નજીક રતનપુર ચેકપોષ્ટ અને વિજયનગરની રાણી ચેકપોષ્ટ સહિત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડતા રાજસ્થાનથી આવતા તમામ માર્ગો પણ પોલીસ દ્વારા ચાંપતી નજર દાખવવામાં આવી રહી છે. આ રસ્તાઓ પર ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યુ છે. જેથી તહેવારોની મજાઓને બગાડનારા અસમાજીક તત્વોની ગતિવિધીઓ પર રોક લગાવાઈ શકાય.

ઉપરાંત 31 ડિસેમ્બરને લઈ સરહદી વિસ્તારમાં ગુજરાતથી શોખીનો પણ મોટી સંખ્યામાં જતા હોય છે અને નશો કરીને પરત ફરતા હોય છે. નશો કરીને કાર ચલાવીને અને મુસાફરી કરીને ગુજરાતની હદના માર્ગો પર ફરનારાઓને પણ પોલીસ દ્વારા ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હાલના દિવસોમાં આવા તમામ શોખિનોને કાયદો ભંગ કરવાની સ્થિતીમાં ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરીને જેલના હવાલે કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

નાતાલના દિવસો પહેલાથી પોલીસ સતર્ક

ક્રિસમસની શરુઆત થાય એ પહેલાથી જ સરહદી જિલ્લાની પોલીસ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવે છે. ખાસ કરીને આંતરરાજ્ય સરદહો પરની બોર્ડરો પર પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. નવા વર્ષની ઉજવણી દરમ્યાન વિદેશી દારુને ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ હેરાફેરી કરનારા શખ્શો દ્વારા કરવામાં આવતો હોય છે. જેને અટકાવવા માટે તમામ શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવામાં આવતી હોય છે. જેથી દારુની હેરફેરને રોકી શકાય.

રતનપુર બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ

અરવલ્લી એસપી સંજય ખરાતે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે, ખાસ કરીને રતનપુર બોર્ડર વિસ્તાર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યુ છે. અહીં રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. બોર્ડર સાથેના અન્ય નાના મોટા આંતરરાજ્ય રસ્તાઓ પર પણ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ રતનપુર બોર્ડર નેશનલ હાઈવે પર આવેલ હોઈ અહીંથી પસાર થતા વાહનો પર નજર વધારે રાખવી જરુરી છે. હાઈવે ઉત્તર ભારતથી ગુજરાતમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો છે. આ રસ્તે નશીલા પદાર્થો અને દારુની હેરાફેરીની આશંકા રાખીને અહીં સતર્કતા રાખી તેમની ઝડપી લેવા જરુરી છે.