Amreli: અમરેલીના કાગવદર ગામના એક રહિશે સતત 267 દિવસ સુધી પગપાળા યાત્રા કરીને 11 જ્યોતિર્લિંગ. 3 યાત્રાધામ અને 6 મહાનગરીની યાત્રા (Travel) કરી નાખી. આ 267 દિવસમાં 10196 કિલોમીટર ચાલીને યાત્રા પુરી કરીને અમદાવાદ પહોચ્યા બાદ પરત આવનારા બાબુભાઇ પ્રજાપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 18 સપ્ટેમ્બર 2020થી તેમણે આ યાત્રા શરૂ કરી હતી અને આ પ્રકારે યાત્રા કરનાર બાબુ પ્રજાપતિ ગુજરાતમાં અવ્વલ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
યાત્રાની સાથે બાબુ પ્રજાપતિએ લોકોને વૃક્ષો વાવો તેમજ કોરોના નિયમનું પાલન કરવા જેવા સંદેશ પણ આપ્યા હતા. પગપાળા યાત્રા શરૂ કરી ત્યારે બાબુ પ્રજાપતિ 5 હજાર રૂપિયા રોકડ, ત્રણ જોડી કપડાં, એક મોબાઈલ અને નક્શાથી તૈયાર કરેલા પુસ્તકને સાથે લઈ ગયા હતા. 48 વર્ષીય બાબુભાઈ પ્રજાપતિ માટી કામ કરે છે અને 25 વર્ષથી વિવિધ ગ્રંથનું વાંચન કરવાથી પગપાળા યાત્રાનો વિચાર આવ્યો હતો.
કોરોના કાળમાં પણ તેમણે આ પગપાળા યાત્રાને સફળતા પૂર્વક પાર પાડી હતી, તેમણે ભગવાનના આશીર્વાદથી પરિવારમાં કોઈને કોરોના નહિ થાય તેવી શ્રદ્ધા સાથે પગપાળા યાત્રા પુરી કરી હતી. યાત્રા દરમિયાન વૃક્ષો વાવો, કોરોના નિયમોનું પાલન કરોના પણ સંદેશા લોકોને પાઠવ્યા હતા. રાજ્યના લોકો સ્વાગત કરી મદદ પુરી પાડતા હોવાનું પણ બાબુભાઈએ જણાવ્યું હતું.
યાત્રા દરમિયાન માત્ર હાવડા બ્રિજ પર કડવો અનુભવ થયાનું તેમણે જણાવ્યું હતું તેમજ ઉતરાખંડમાં લોકડાઉનને લઈને 12માંથી એક જ્યોતિર્લિંગના દર્શન નહિ થયાનું પણ જણાવ્યું. જણાવવું રહ્યું કે અગાઉ મધ્યપ્રદેશનાં એક સંતે 12 જ્યોતિર્લિંગની પગપાળા યાત્રા કરી હોવાની વિગતો સામે આવી છે. સાંભળો તેમના જ મોઢે યાત્રાના અનુભવો.
Published On - 6:11 pm, Fri, 11 June 21