કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ અમરેલીમાં (Amreli) પહોંચતા તેમનું દિલીપ સંઘાણી, પુરષોતમ રૂપાલા, સાંસદ કાછડીયા સહિતના નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જે પછી અમિત શાહે અમરેલીની ચલાલા રોડ પર આવેલી અમર ડેરીના સહકારથી સમૃદ્ધી કાર્યક્રમમાં (Sahkar thi samridhdhi) હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહ શાહે જણાવ્યુ હતુ કે અમરેલીએ અનેક સહકારી આગેવાનો આપ્યા છે.
અમિત શાહે અમરેલીમાં અમર ડેરીના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહે જણાવ્યુ કે, વડાપ્રધાન મોદીએ દેશમાં સહકાર ખાતુ અલગ બનાવી દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ કરવા માટેનો એક નવો પ્રયાસ આદર્યો છે અને તેનું નામ સહકારથી સમૃદ્ધિ છે. સહકારનો અર્થ જણાવતા અમિત શાહે કહ્યુ કે, સહકાર એટલે સાથે આવવુ, સાથે વિચારવુ, સાથે જ સંકલ્પ લેવો અને સાથે જ સંકલ્પની સિદ્ધિ માટે પુરુષાર્થ કરવો. અમિત શાહે કહ્યુ કે આજે જિલ્લા કક્ષાની સાત સંસ્થા એક સાથે અહીં એકત્ર થઇ છે જે એ જ જણાવે છે કે, સહકારથી સમૃદ્ધિ અહીં ચરિતાર્થ થઇ છે. સાથે જ અમિત શાહે કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતુ કે સહકારી સંસ્થામાં દિલીપ સંઘાણીનું કામ પ્રસંશનીય છે.
અમિત શાહે કાર્યક્રમમાં જણાવ્યુ કે, આપણી સરકાર ખેડૂતોની ચિંતા કરનારી સરકાર છે. આજે ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે નાણાં મળે છે. તો બીજી તરફે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓ સૌરાષ્ટ્રની ડેરીઓમાં મોટુ ખંભાતી તાળુ મારીને જતા રહ્યા હતા. કૌભાંડ કરીને બધી ડેરીઓને નિષ્ફળ કરી નાખી હતી. જો કે વડાપ્રધાન મોદીએ સૌરાષ્ટ્રની બધી ડેરીઓને મૂળી ભંડોળ આપી ચાલુ કરાવી. અત્યારે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓમાં ડેરીઓ ધમધોખર ચાલે છે.
અમિત શાહે જણાવ્યુ કે, 2002માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે 2500 લીટર દુધ પ્રોસેસ્ડ થતુ હતુ અને આજે એક લાખ 25 હજાર લીટર દુધ પ્રોસેસ થાય છે. અમિત શાહે કહ્યુ કે, હવે સહકારી ક્ષેત્રે દેશ આગળ વધી રહ્યો છે.
મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટી રચના કરાશે
અમિત શાહે અમરેલીમાં સંબોધનમાં જણાવ્યુ કે, સેવા સહકારી મંડળીઓ પાંચ વર્ષમાં 65 હજારથી વધારીને 3 લાખ કરાશે, ડિસેમ્બરથી આ યોજના અમલમાં લવાશે. અમિત શાહે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ પ્રાકૃતિક ખેતી પર ભાર મુક્યો છે. તેમણે જણાવ્યુ કે અમુલ અને બીજી પાંચ સહકારીતા સંસ્થાને ભેગી કરીને મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટી રચના કરવામાં આવશે. જે દેશના દરેક રાજ્યમાં લેબોરેટરી બનાવશે અને તેમાં ખેડૂતની માટી અને ઉપજ બંનેનું પરીક્ષણ કરી તેના પર ઓર્ગેનિકનો થપ્પો લગાવાશે. જે પછી નફો સીધો ખેડૂતના ખાતામાં જમા થશે. જેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીમાં વધુ ઉત્પાદન આપે તેવા બીજ પર સંશોધન થશે. સાથે જ કૃષિ પાકના નિકાસ માટે મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ એકસપોર્ટ હાઉસ બનાવા અંગેની માહિતી અમિત શાહે આપી.
Published On - 12:36 pm, Sun, 11 September 22