અમરેલી લેટરકાંડમાં જેલમુક્ત થયા બાદ પાયલ ગોટી આવી મીડિયા સમક્ષ, આપ્યુ આ મોટુ નિવેદન- Video

અમરેલી ભાજપમાં ખળભળાટ મચાવી દેનારા લેટરકાંડમાં જેલમુક્ત થયા બાદ પાયલ ગોટી સૌપ્રથમવાર આજે મીડિયા સમક્ષ આવી હતી. તેના નિવાસસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાયલે પોલીસે માર માર્યો હોવાની વાત સ્વીકારી હતી.

| Updated on: Jan 06, 2025 | 7:48 PM

અમરેલી જિલ્લાના સૌથી વધુ ચકચારી લેટરકાંડમાં પાટીદાર યુવતીની ધરપકડથી સમગ્ર રાજ્યમાં વિવાદનો વંટોળ ભભુકી ઉઠ્યો હતા. આજે તે જેલમુક્ત થયા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ આવી અને અનેક મુદ્દાઓ પર વાત કરી. જેમા પાયલે ચોંકાવનારો ખૂલાસો કર્યો કે રાત્રિના 12 વાગ્યે 2 મહિલા પોલીસને સાથે મારી કોઈ વાંકગુના વિના ધરપકડ કરવામાં આવી. પાયલે જણાવ્યુ કે સમગ્ર ઘટનામાં તેનો કોઈ વાંક જ ન હતો છતા તેને આરોપી બનાવવામાં આવી અને ભરબજારમાં સરઘસ કાઢી આબરુની નીલામી કરવામાં આવી. આ અંગે તેમણે મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માગ કરી છે.

વધુમાં પાયલે ધારાસભ્ય કૌશિક વેકરીયાને પણ પત્ર લખ્યો અને તેની સમક્ષ પણ ન્યાયની માગ કરી છે. પાયલે સૌથી મોટો ઘટસ્ફોટ એ પણ કર્યો કે કોઈ જ વાંકગુના વિના પોલીસે તેને ઘણી ટોર્ચર કરી અને માર પણ માર્યો હતો.

શું પાયલ રાજકારણમાં જોડાશે?

જો કે પાયેલે રાજકારણમાં જોડાવાનો સ્પષ્ટ નનૈયો ભણ્યો. તેણે જણાવ્યુ કે તેને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી અને તે રાજનીતિમાં ક્યારેય આવવા પણ માગતી નથી.

“જૈનીબહેને મારા માતા પિતાને સાથ આપ્યો”

પાયલે જણાવ્યુ લેટરકાંડની ઘટના પહેલા ક્યારેય જેની ઠુમ્મરને મળી પણ ન હતી અને ઓળખતી પણ ન હતી. પરંતુ આ ઘટના બાદ જે પ્રકારે તેઓ મારા પરિવારની પડખે રહ્યા, તેમને મોરલ સપોર્ટ આપવાનું કામ કર્યુ તેના માટે તેમનો પણ આભાર વ્યક્ત કર્યુ છે. સર્વ સમાજના લોકોનો અને પાટીદાર અગ્રણીઓનો પણ પાયલે આભાર વ્યક્ત કર્યો હતો.

લેટર કોણે ટાઈપ કર્યો હતો?

જો કે લેટર કોણે ટાઈપ કર્યો તે સવાલના પ્રત્યુતરમાં પાયલે એક શબ્દ પણ મીડિયા સમક્ષ ઉચ્ચાર્યો ન હતો અને FSL તપાસ કરાવી લો એટલુ જ જણાવ્યુ હતુ. આ અંગે વારંવાર પૂછવા છતા પાયલે FSL તપાસનું એક જ રટણ ચાલુ રાખ્યુ હતુ. જો કે પાયલની વાતો પરથી માત્ર શબ્દો એના પરંતુ સ્ક્રીપ્ટ બિહાઈન્ડ ધ સીન કોઈ બીજાની બોલતી હોય તેવુ સ્પષ્ટ જણાઈ રહ્યુ હતુ. જે કૌશિક વેકરીયાની ફરિયાદના આધારે પાયલની ધરપકડ થઈ એ જ ધારાસભ્ય કૌશિક વેકરીયાને પાયલ તેના મોટાભાઈ ગણાવતી જોવા મળી અને જણાવ્યુ કે તેને આશા છે કે તે તેને ન્યાય અપાવશે. જો કે સમગ્ર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાયલ મોટાભાગના સવાલોથી દૂર રહી જવાબ આપવાનું ટાળતી જોવા મળી હતી.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:41 pm, Sun, 5 January 25