આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે કારણ કે બહુમાળી મકાનો વિસ્તરતા અને જંગલ વિસ્તાર ઘટતા ઘરઆંગણાનું આ નિર્દોષ પક્ષી પોતાના અસ્તિત્વ સામે જંગે ચઢેલું છે. જોકે ગુજરાતમાં જ્યાં પારેવાને ચણ નાંખવાની અને ઘરની બારી કે ફોટા પાછળ ચકલી કે પારેવાં માળો કરે તેવી સંસ્કૃતિ અને વ્યવસ્થા છે ત્યાં ચકલીઓ માટે પણ રહેવાની સરસ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ સમય જતા મોટાભાગના લોકો ચકલીઓ માટે ચણ નાખવાની અને માળાની વ્યવસ્થા કરવાની સુવિધા કરતા હોય છે.
આવું જ એક સ્થળ છે અમદાવાદથી આશરે સવા કલાકના અંતરે આવેલા યાત્રાધામ ગણેશપુરા કે જે ગણેશ ધોળકા અને ગણપતિ પુરા તરીતે પણ જાણીતું છે. અહીં જમણી સૂંઢના ગણપતિ આવેલા છે. જેના લીધે આ ગણપતિના દર્શન માટે અહીં દૂરદૂરથી લોકો આવે છે અને અંગારકી ચોથ કે મહિનામાં આવતી ચોથના દિવસે અહીં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે જોકે અહીં દર્શન કરતા જે ખાસ વાત નજરે પડે છે તે એ છેકે અહીં સતત ગૂંજતો ચકલીઓનો અવાજ
અહીં તમે દૂંદાળા દેવના દર્શન કરવા ગર્ભગૃહમાં પગ મૂકો ત્યારે ગણપતિ દાદાના દર્શન કરવાની સાથે શાંત વાતાવરણમાં આપણા કાને પડે છે ચકલીઓનું ચી..ચી. નિરાંતભર્યા વાતાવરણમાં અહીં ચારે બાજુ ચકલીના ચી ચીનો કલરવ મનને અપાર શાંતા આપે છે. ચકલીઓ પણ અહીં નિર્ભય બનીને ગણપતિ દાદાના લાડુનો પ્રસાદ આરોગે છે અને નિર્ભય બનીને ઉડા ઉડ કરે છે.
મિત્રો અહીં તમને એવો નજારો જોવા મળશે કે ક્યાંક ચકલી ગણપતિ દાદાના મુગટ પર બેઠી છો તો ક્યાંક તેમના ફૂલ ઉપર, અને ક્યાંક તો પ્રસાદ ભરેલા થાળમાંથી પ્રસાદ પણ આરોગતી હોય છે. બાળકો પણ આ ચકલીઓને નજીકથી જોઇને ચકલીને વ્હાલ કરવાનો લ્હાવો લઈ શકે છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી આવતા લોકો તો આટલી બધી ચકલીઓ અને તેનો કલરવ સાંભળીને આનંદિત થઈ જતા હોય છે.
ગણપતિપુરા યાત્રાધામમાં ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના ગર્ભગૃહમાં ઉપર ઝીણી જાળી લગાવીને ચકલીઓના માળા લગાવવામાં આવ્યા છે. ચકલીઓ માટે કરવામાં આવેલી આ વ્યવસ્થા અંગે પૂછતા ગણેશપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા Tv9 ડિજિટલને જણાવવામાં આવ્યું હતું કે અહીં આસપાસ રહેતા ચકલી સહિતના પંખીઓને આશરો મળી રહે તેથી તેમના જતન માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં તેમજ મંદિરની અંદર 70 જેટલા માળા છે અને અતિશય ગરમી કે વરસાદ અને ઠંડીની પરિસ્થિતિમાં પણ અહીં ચકલીઓ સુરક્ષિત રહે છે. મંદિરના પરિસરમાં અસંખ્ય ચકલીઓ છે તેમજ અન્ય પક્ષીઓ પણ રહે છે પરંતુ ચકલીઓને અહીં સુરક્ષિત વાતાવરણ મળ્યું હોવાથી અહીં ચકલી બહોળા પ્રમાણમાં છે.
હવે તમે જો ગણપતિ મંદિરે દર્શન કરવા જાવ તો આ નજારો ખાસ જોજો, આરામથી તમારી આસપાસ ઉડાઉડા કરતી ચકલીઓને જોઈને તમારા મનને અપાર શાંતિ મળશે.
એક હતો ચકી અને એક હતી ચકી….., ચકી બેન, ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં , આવશો કે નહીં, ગુજરાતના અત્યાર સુધીની પેઢીના બાળકો ચકા ચકીના ગીતની વાર્તાઓ સાંભળીને મોટા થયા છે તો વળી ચકલીઓને ધૂળમાં રમતી જોઈને ખેડૂતો અને જમાનો જોઈ ચૂકેલા વૃદ્ધો એવી આગાહી પણ કરતાં કે ઓણ સાલ વરસાદ ઘણો સારો થશે….. તો વળી લોકગીતોમાં વ્હાલી દીકરીને નિર્દોષ ચકલી સાથે સરખાવીને લાગણીભર્યા ગીતોનું સર્જન પણ થયેલું છે જેમ કે અમે રે લીલુડા વનની ચરકલડી, ઊડી જાશું પરદેશ જો,
આજ રે દાદાજીના દેશમાં, કાલ જાશું પરદેશ જો,
દાદાને આંગણ આંબલો.
દાદાને વહાલા દીકરા, અમને દીધા પરદેશ જો,
ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના મોહમ્મદ દિલાવરભાઈએ ‘નેચર ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા’ની સ્થાપના કરી હતી.
ફ્રાંસની ઈકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પ્રેરણાદાયી પહેલ છે. આ પહેલ અંતર્ગત સૌ પ્રથમ વર્ષ-2010માં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઘર આંગણાના પક્ષીઓમાં ચકલી મોખરાના સ્થાને છે જોકે આજે બહુમાળી મકાનો થતા ચકલીને માળા કરવાની વ્યવસ્થા ઓછી થતી જાય છે ત્યારે ચકલીના સંવર્ધન માટે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે પણ આપણાથી બનતા પ્રયત્નો કરીએ અને આ નાનકડા અન નિર્દોષ પક્ષીને જાળવવામાં આપણું યોગદાન આપીએ.
Published On - 6:31 pm, Mon, 20 March 23