ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં જુદા જુદા રોગચાળાએ જાણે માઝા મુકી છે. એક તરફ કોરોના (Corona) મહામારીમાંથી હજુ તો માંડ થોડી રાહત મળી છે. ત્યાં હવે બીજી મંકી પોક્સ અને લમ્પી વાયરસ જેવા રોગો પણ ફેલાયા છે. ત્યારે અન્ય રોગચાળા સાથે ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ (Swine flu) ચિંતા વધારી છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં અન્ય રોગચાળા સાથે સ્વાઈન ફલૂના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં ઓગસ્ટ માસના 9 દિવસમાં જ સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયુ છે.
અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂનો કહેર ફેલાયો છે. ઓગસ્ટ માસના 9 દિવસમાં જ અમદાવાદમાં સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા છે. પાલડી, નવરંગપુરા, બોડકદેવ અને જોધપુર વોર્ડમાં સૌથી વધુ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોમાં 90થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો છે. તો સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂથી બેના મોત થયા હતા. સ્વાઇન ફ્લૂના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ચોમાસામાં વાઈરલ ઈન્ફેકશનના કેસ પણ વધ્યા છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાયેલા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર સપ્તાહે 1,100 કેસ નોંધાયા છે. ઓગસ્ટ માસના 10 દિવસમાં 21 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. બાળકોમાં મોટા પ્રમાણમાં ડેન્ગ્યુ અને વાઈરલ ઈન્ફેકશનના કેસ નોંધાઇ રહ્યા છે.
સ્વાઈન ફ્લૂ એ ડુક્કર દ્વારા ફેલાતો ચેપી રોગ છે. સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ દરમિયાન છોડવામાં આવતા ટીપાઓ દ્વારા તેમજ ચેપગ્રસ્ત સપાટીના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે. આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષોને ચેપ લગાડે છે. આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે. સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસાના મહિનામાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે.