મોરબીમાં સર્જાયેલી કરુણાંતિકા પછી જાહેર ફરવા લાયક સ્થળો કે પછી મનોરંજનના સ્થળો ઉપર ઉમટી પડતી ભીડ તરફ તંત્ર અને સરકારનું ધ્યાન કેન્દ્રિત થયુ છે. અમદાવાદનું કાંકરિયા લેક પણ એક એવું મહત્વનું સ્થળ છે કે જેમની મુલાકાતે ન ફક્ત અમદાવાદ પરંતુ ગુજરાતભરમાંથી પ્રવાસીઓ દરરોજ ઉમટી પડે છે. દિવાળીના તહેવારમાં તો એક જ દિવસમાં 72 હજાર જેટલા પર્યટકોએ કાંકરિયા લેકની મુલાકાત લીધી હતી, ત્યારે મુલાકાતીઓની સુરક્ષા અને સલામતી માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
જ્યારથી કાંકરિયા કાર્નિવલ શરૂ થયો છે ત્યારથી દર વર્ષે લગભગ 3 લાખ મુલાકાતીઓ કાંકરિયાની મુલાકાત લે છે. સ્વાભાવિક રીતે આટલા મોટા ક્રાઉડને મેનેજ કરવા માટે વ્યવસ્થા પણ એ જ પ્રકારની હોવી જરૂરી છે. અહીંયાનું તંત્ર આ ક્રાઉડને મેનેજ કરવા માટે ઘણી બધી રીતે અભ્યાસ કરીને મેનેજમેન્ટ કરતું રહ્યું છે. જેને કારણે ઓવર ક્રાઉડેડ થઈને કોઈ દુર્ઘટના સર્જાય એની શક્યતાઓ ઓછી છે, સાથે જ આ ઓપન એરીયા હોવાથી બીજા કોઈ પ્રકારનો ભય પણ રહેલો નથી.
કાંકરિયાની મુલાકાત લેવા આવતા પર્યટકોની સુરક્ષાની જવાબદારીને લઈને તંત્ર પણ એટલી જ કાળજી રાખે છે. ગેટથી પ્રવેશતા મુલાકાતીઓનું સઘન ચેકિંગ તેમજ સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવતી હોય છે. સ્વાભાવિક રીતે કોઈ એકની બેદરકારી અન્ય લોકો માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે, ત્યારે લોકોએ પણ એટલી જ સાવચેતી રાખવી જરૂરી છે. કાંકરિયામાં અમ્યુઝમેન્ટ પાર્ક, ઝૂ, રાઇડ્સ, કિડ્સ ઝોન, તેમજ વોટર રાઈડ્સ સહિત મનોરંજનના અનેક માધ્યમો છે, પરંતુ આવકની સાથોસાથ અહીં આવતા પર્યટકોની સુરક્ષા એ જ તંત્રની પ્રાથમિકતા હોવી જોઇએ.