Breaking News : અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીના સેલેસ્ટે પ્રોજેક્ટ મુદ્દે રેરા એક્શનમાં, એક મહિનામાં કાર્યવાહીનું આશ્વાસન

અમદાવાદના જગતપુર સ્થિત સેલેસ્ટે પ્રોજેક્ટમાં ચાર વર્ષના વિલંબથી રોકાણકારોમાં ભારે અસંતોષ છે. ગોદરેજ ગ્રુપના નામ પર રોકાણ કરનારાઓ ગુજરાત રેરા (RERA) સમક્ષ પહોંચ્યા છે.

Breaking News : અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીના સેલેસ્ટે પ્રોજેક્ટ મુદ્દે રેરા એક્શનમાં, એક મહિનામાં કાર્યવાહીનું આશ્વાસન
| Updated on: Jul 18, 2026 | 5:19 PM

અમદાવાદના જગતપુર વિસ્તારમાં બની રહેલા સેલેસ્ટે પ્રોજેક્ટને લઈને રોકાણકારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી પ્રોજેક્ટનું કામકાજ બંધ હોવાનો આક્ષેપ કરતાં ગોદરેજ ગાર્ડન સિટીના અનેક રોકાણકારોએ ગાંધીનગર સ્થિત ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) કચેરીમાં રજૂઆત કરી છે. સમયસર મકાનનો કબજો ન મળતા અને યોગ્ય જવાબ ન મળવાના કારણે રોકાણકારોમાં ભારે રોષ ફેલાયો છે.

રોકાણકારોનું કહેવું છે કે તેમણે ગોદરેજ ગ્રુપના નામ પર વિશ્વાસ રાખીને લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ વર્ષો વીતી ગયા છતાં પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. આ મામલે તેમણે શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજ પ્રોપર્ટીઝ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

રેરા કચેરીમાં રોકાણકારો અને અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન અધિકારીઓએ રોકાણકારોને વિશ્વાસ અપાવ્યો કે આગામી દિવસોમાં બંને બિલ્ડર ગ્રુપ સાથે અંતિમ ચર્ચા કરવામાં આવશે અને સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

રોકાણકારોએ મીડિયાને જણાવ્યું કે રેરાએ તેમને ખાતરી આપી છે કે આગામી 10 દિવસમાં ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધિ ગ્રુપ સાથે અંતિમ બેઠક યોજાશે. જો આ બેઠકમાં બિલ્ડર દ્વારા મકાનનો કબજો સોંપવા અથવા વ્યાજ સહિત રિફંડ આપવા અંગે કોઈ સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે, તો રેરા કડક કાયદેસરની કાર્યવાહી કરશે.

રોકાણકારોના જણાવ્યા અનુસાર, જરૂર પડશે તો બંને બિલ્ડર ગ્રુપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) માં પણ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. જો આવું થાય તો રેરા દ્વારા બિલ્ડર સામે ઈડીમાં ફરિયાદ નોંધાવવાનો આ દેશનો પ્રથમ કિસ્સો બની શકે છે.

રેરાએ રોકાણકારોને વધુમાં ખાતરી આપી છે કે જો બિલ્ડર તરફથી સહકાર નહીં મળે તો તેમના હિતોની રક્ષા માટે તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવશે. બીજી તરફ, ગોદરેજ બ્રાન્ડ પર વિશ્વાસ રાખીને રોકાણ કરનાર અનેક પરિવારો હવે પોતાને છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે અને ઝડપથી ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

Published On - 5:18 pm, Sat, 18 July 26

Follow Us