Rathyatra 2021 : અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા(144 Rathyatra) ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી હતી. 3 કલાક 40 મિનિટમાં જ રથયાત્રા પૂર્ણ થઇ હતી. આ તકે પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી અને મંદિરના મહંતએ આભાર માન્યો હતો. કોરોનાની કડક ગાઈડ લાઈન મુજબ જ રથયાત્રા યોજવી અને 23 હજાર પોલીસ કર્મીઓનાં પહેરા વચ્ચે જગતનાં નાથ જગન્નાથની રથયાત્રા આખરે સંપન્ન થઈ હતી.
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે નાગરિકો, મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી, કમિશનર, પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો. આ સાથે જ જણાવ્યું હતું કે, આવું ભૂતકાળમાં વિચાર્યું ના હતું કે ભવિષ્યમાં વિચારશું પણ નહીં.
પોલીસનાં મનોબળ માટે કહો કે પછી યાત્રાની સ્થિતિ પર સતત નજર રાખવા માટેની વાત હોય, ગૃહપ્રધાન ફિલ્ડમાં જ રહ્યા હતા. આ વખતે ભક્તો કરતા પોલીસની સંખ્યા વધારે જોવા મળી હતી. યાત્રામાં પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો પણ કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.
રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત રહ્યા, તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ હતી.