Ahmedabad : ખેડાના બ્રેઇનડેડ રાજુ ડાભીના પરિવારે કર્યું હ્રદયનું દાન, જીવવાની આશા ગુમાવી ચુકેલા યુવકને મળ્યુ નવજીવન

Ahmedabad: ખેડા જિલ્લાના 42 વર્ષીય રાજુભાઇ ડાભીને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ગંભીર આંતરિક ઈજાઓને લીધે તેઓ બ્રેઇનડેડ થયા હતા. તેમના પરિવારજનોએ રાજુભાઇનાં અંગોના દાન થકી અન્ય જરૂરિયાતમંદને નવજીવન આપવાનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો અને 29 વર્ષિય યુવકને નવજીવન મળ્યુ છે.

Ahmedabad : ખેડાના બ્રેઇનડેડ રાજુ ડાભીના પરિવારે કર્યું  હ્રદયનું  દાન, જીવવાની આશા ગુમાવી ચુકેલા યુવકને મળ્યુ નવજીવન
29 વર્ષિય યુવકને મળ્યુ હ્રદયનું દાન
| Edited By: | Updated on: Oct 29, 2022 | 10:45 PM

અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંગદાનની ઝુંબેશ રંગ લાવી છે. સિવિલની આ ઝુંબેશ દ્વારા લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધી છે. જેના પરિણામે જરૂરતમંદોને સમયસર અંગો મળી રહેતા તેમને નવજીવન મળે છે. સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 25 હ્રદયના દાન મળ્યા છે. જેના થકી મોતની કગાર પર આવેલા લોકોને નવુ જીવન મળ્યુ છે.આવી જ હ્રદયરોગની પીડાથી પીડાઈ રહ્યા હતા ભાવનગરના ખેત મજૂરી કરતો ડોડિયા પરિવારનો 29 વર્ષિય દીકરો. આ વ્યક્તિનું હૃદય બંધ થવાની કગાર પર હતું, હૃદયને ઘબકતું રાખવા સાત વર્ષથી સંઘર્ષ કરતા આ વ્યક્તિને અનેક વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. શ્વાસ રૂંધાવો, વારંવાર બેચેની થવી જેવી સમસ્યાઓ જીવનનો નિત્યક્રમ બની ગઈ હતી. આવી સમસ્યામાંથી પસાર થતો ગરીબ વ્યક્તિ પ્રભુને ફક્ત આટલી જ પ્રાર્થના કરે : “પ્રભુ મને તારા શરણોમાં લઇ લે”

હૃદયની અતિગંભીર સમસ્યા કે જેમાં પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ હોય. આ પ્રત્યારોપણની સારવાર ગરીબ પરીવાર માટે તો સ્વપ્ન સમી જ હતી. સાત વર્ષથી પીડામાંથી પસાર થઇ રહેલા યુવક વધું જીવવાની આશા ગુમાવી ચૂક્યો હતો. ત્યાં એકાએક ગઇ કાલે તેને સિવિલ હોસ્પિટલમાંથી 42 વર્ષના રાજુભાઇ ડાભીનું હૃદય અંગદાનમાં મળ્યું. યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ 29 વર્ષીય યુવક દર્દીમાં આ અંગદાનમાં મળેલા હૃદયને પ્રત્યારોપણ કરવામાં આવ્યું. પ્રત્યારોપણ સફળ રહ્યું અને યુવકને નવજીવન મળ્યું. અત્યાર સુધી સમાજમાં એવી માનસિકતા હતી કે માલેતુજાર લોકોની પીડા દૂર કરવા માટે જ હૃદય પ્રત્યારોપણ છે. ખાનગી હોસ્પિટલમાં આશરે 25થી 30 લાખની માતબર રકમના ખર્ચે થતું હૃદય ટ્રાન્સપ્લાન્ટ ધનિક લોકો જ કરાવી શકતા હોય છે.

પરંતુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સિવિલ મેડિસિટીની યુ.એન. મહેતા હોસ્પિટલમાં હ્રદયના પ્રત્યારોપણ જેવા મોટા ઑપરેશન પણ શક્ય બન્યા છે. સિવિલ મેડિસિટીમાં હૃદયનું પ્રત્યારોપણ શરૂ થતા રાજ્યના હજારો ગરીબ પરિવારો કે જેમાંથી કેટલાક દર્દીઓને હૃદયની ગંભીર સમસ્યા હોય, જેમના માટે હૃદયના પ્રત્યારોપણ સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોય, તેવા દર્દીઓ માટે તો આશાનો સૂરજ ઉગ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે 94મું અંગદાન થયું. ખેડા જિલ્લાના 42 વર્ષીય રાજુભાઇ ડાભીને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ગંભીર આંતરિક ઈજાઓને લીધે તેઓ બ્રેઇનડેડ થયા હતા. તેમના પરિવારજનોએ રાજુભાઇનાં અંગોના દાન થકી અન્ય જરૂરિયાતમંદને નવજીવન આપવાનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.

બ્રેઇનડેડ રાજુભાઇના અંગદાનમાં હૃદયનું દાન મળ્યું. જેણે સિવિલ મેડિસિટીની જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ ભાવનગરના ૨૯ વર્ષીય યુવકમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જે દર્દીમાં હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું, તે દર્દીને ૭ વર્ષથી DCMP નામની હૃદય સંબંધિત ગંભીર બીમારી હતી.

તબીબોના મતે હાલ પ્રત્યારોપણ બાદ દર્દીની હાલત સ્થિર છે. અને થોડા જ દિવસોમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા મેડિસિટીના સ્વપ્નના ફળ આજે મળતા થયાં છે. જેના પરિણામે એક જ કેમ્પસમાં 100 મીટરથી પણ ઓછા અંતરે અંગદાન અને પ્રત્યારોપણ શક્ય બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ 94 અંગદાનમાં અત્યાર સુધીમાં એક વર્ષમાં 25 હૃદયનું દાન મળ્યું છે.