Ahmedabad : એક તરફ કેરળમાં ચોમાસાનું (Monsoon 2023) આગમન થઇ ગયુ છે. 20 થી 25 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે. જો કે અમદાવાદમાં ચોમાસા પહેલા જ ભૂવા પડવાનો સિલસીલો શરૂ થયો છે. ચોમાસા પહેલા જ અમદાવાદ કોર્પોરેશનનો પ્રિમોન્સૂન પ્લાન ખાડામાં ગયો છે.
કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી સામે ફરી સવાલ ઉભા થયા છે. કારણ કે ચોમાસા પહેલા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. મણિનગરના ભૈરવનાથ ચાર રસ્તા પર એક મસમોટો ભૂવો પડ્યો છે. રસ્તા વચ્ચે જ મસમોટો ભૂવો પડવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં દર વર્ષે ભૂવો પડે છે. કોર્પોરેશનને અનેક રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ લવાતો નથી અને દર વર્ષે તેમને ભોગવવાનો વારો આવે છે. સાથે જ સ્થાનિકોને ઉનાળામાં આવી સ્થિતિ છે તો ચોમાસામાં બદતર સ્થિતિ થશે તેવો પણ ભય સતાવી રહ્યો છે.
આ પહેલા શ્ચિમ વિસ્તારમાં શિવરંજની ચાર રસ્તા પર ભૂવો પડ્યો હતો. કોર્પોરેશન દ્વારા પતરા અને બેરિકેટીંગ ગોઠવીને ભૂવાને કોર્ડન કરાયો હતો. ભૂવો પડતા ચાર રસ્તા ઉપર વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઈ હતી. વેજલપુર APMCથી શિવરંજની સુધી વિવિધ સ્થળે કરાયેલા ખોદકામથી લોકો પરેશાન છે. ગટરોની ચેમ્બર ઉપર લાવવા કરાયેલા ખોદકામથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પીક અવર્સ દરમિયાન ખોદકામને લઈને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.
તો આ પહેલા અમદાવાદમાં વિશાલા નજીક રાજયાંશ મોલ પાછળ મેટ્રો લાઈન નીચે ભૂવો પડ્યો હતો. જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘટનાની જાણ થતાં જ કોર્પોરેશનની ટીમે ભૂવાનો કોર્ડન કરીને કામ ચલાવી લીધુ. આ તરફ વાસણા, ગરીબનગર અને વાળીનાથ ચોક પાસે પડેલા ભૂવાના સમારકામની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. ત્યારે અમદાવાદમાં ભૂવા પડવાની ઘટનાઓને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Published On - 10:01 am, Fri, 9 June 23