
Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વેજલપુર (Vejalpur) વિસ્તારમાં જમવા જેવી સામાન્ય બાબતે બોલાચાલીની ઘટના બની હતી. બોલાચાલી બાદ સમાધાન સમયે એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ પોલીસને જાણ થતાં વેજલપુર પોલીસે ગુનો નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરી છે.
શહેરમાં થોડા દિવસો પહેલા નિકોલમાં હત્યાની ઘટના સામે આવી હતી. જે બાદ વેજલપુરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. બકરી ઈદના દિવસે જ વેજલપુરમાં ફ્તેવાડી કેનાલ પાસે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ઈંડાની લારી પર જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી કરનાર બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી બંને વચ્ચે સમાધાન કરવાનું નક્કી થયું હતું . પાન પાર્લર પર બંને પક્ષો સમાધાન માટે ભેગા થતાં ફરી બોલાચાલી થઈ હતી અને જે બાદ મામલો ગરમાયો હતો અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.
ઘટનાની વાત કરીએ તો ઇલ્યાસ પંજાબી અને તેનો દીકરો આયાન અને તેના ભાઈ આસિફે મળીને યુસુફ અલી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુસુફ અલીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.
જુહાપુરામાં ફતેવાડી પાસે સામાન્ય બોલાચાલી બાદ બનેલી આ ઘટનામાં એક આરોપીને પણ હાથના ભાગે ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે હત્યા પાછળનું કારણ ફક્ત બોલાચાલી જ હતી કે અન્ય કોઈ કારણ હતું તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.