કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અમદાવાદની મુલાકાતે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીના પ્રચાર માટે અમદાવાદ આવેલા મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક મુદ્દાઓ પર પોતાની વાત રાખી હતી. તેમણે જણાવ્યુ કે ચૂંટણી પ્રચારનો પ્રારંભ અમદાવાદથી કર્યો છે. ખડગેએ રિમોટ કંટ્રોલ અધ્યક્ષ મુદ્દે પણ ભાજપ (BJP) પર પ્રહાર કર્યા. તેમણે કહ્યુ કેટલાક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે કે રિમોટ કંટ્રોલ પ્રમુખ છે પરંતુ કોંગ્રેસ (Congress) માં રિમોટ કંટ્રોલની કોઈ વ્યવસ્થા નથી. કૉંગ્રેસમાં સાથે મળીને નિર્ણય લેવાય છે. ભાજપમાં વડાપ્રધાનની પસંદગી મુજબના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે છે. તેમણે કહ્યુ સોનિયા ગાંધી પાસે વડાપ્રધાન બનવાની તક હતી, છતા તેમણે અર્થશાસ્ત્રના નિષ્ણાંતની પીએમ માટે પસંદગી કરી.
ખડગેએ અમદાવાદની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમની મુલાકાત લીધી. તેમણે કહ્યુ મહાત્મા ગાંધીના આશ્રમથી આશિર્વાદ સાથે પ્રચારની શરૂઆત કરી છે. સરદાર પટેલ અને નેહરુએ જે વિસ્તારને વર્ષ 1948માં આઝાદી અપાવી એ હૈદ્રાબાદથી હું આવ્યો છે. તેમણે કહ્યુ આ ઘરની ચૂંટણી છે અને હું અહીં સમર્થન માગવા આવ્યો છુ. તેમણે જણાવ્યુ કે હું જાતે આ ચૂંટણી નથી લડી રહ્યો પરંતુ મોટા નેતાઓ અને ડેલિગેટ્સે મને આ ચૂંટણી લડવા આદેશ આપ્યો છે. ગાંધી પરિવાર ચૂંટણી લાડવા માગતો ન હોવાથી ચૂંટણી લડવા કહેવાયું હતું. તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે- 50થી ઓછા વર્ષ વાળાને ચૂંટણી અને સંગઠનમાં 50 ટકા રિઝર્વ આપવા તેઓ પ્રયત્ન કરશે. જ્યાં ચૂંટણીઓ છે ત્યાં બધાને એકજૂથ રાખવા પ્રયત્ન કરીશ. તેમણે ગાંધી નેહરૂની વિચારધારા અને સરદારની એકતાના અવાજને આગળ ધપાવવાની વાત કરી.