અમદાવાદમાં (Ahmedabad) માલધારી સમાજે વિવિધ પ્રશ્નોને લઇને રેલી (Rally) કાઢી હતી. ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી હતી. આ માલધારી વેદના રેલી ભીડભંજન હનુમાન મંદિર બાપુનગરથી લાલ દરવાજાના ભદ્રકાળી મંદિર સુધી યોજી હતી. માલધારી સમાજે રખડતા ઢોર (Stray cattle) પકડવાની કાર્યવાહીનો વિરોધ નહીં હોવાના નિવેદન સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી હતી. માલધારી સમાજે રેલી યોજીને પોતાની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
રખડતા ઢોર અંગે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા રસ્તા પર રખડતા ઢોર અને ઢોર છૂટા મુકનાર પશુમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના બાપુનગરથી ભદ્રકાળી મંદિર સુધી માલધારી સમાજે વેદના રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં માલધારી યુવાનો અને આગેવાનો જોડાયા હતા. માલધારી સમાજે પોતાના વિવિધ પ્રશ્નોને લઇને આ રેલી યોજી હતી.
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ કહ્યું હતુ કે, નિર્દોષ રાહદારીઓના અકસ્માતથી અમને પણ દુઃખ થાય છે. ગુજરાતના મોટા શહેરોમાં નજીકના ગામડાઓને સતત ભેળવવામાં આવે છે. પરંતુ માલધારીઓને ગૌચરની જમીન કે વસાહતો જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી. છેલ્લા 10 દિવસમાં તંત્રએ અનેક ગાયને પકડી છે. જે દંડ ભરવા છતાં ન છોડતા વાછરડાનાં મોત નિપજતા હોવાનો આગેવાનોએ આક્ષેપ કર્યો. માલધારી સમાજે સરકારની કાર્યવાહીનો વિરોધ નહીં પરંતુ ઢોર સાચવવા માટેની વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી.
Published On - 2:48 pm, Fri, 2 September 22