
આજે રામનવમી છે એટલે કે, ભગવાન શ્રી રામ પ્રભુ નો જન્મ દિવસ. આજે આપણે એક એવા રામજીના મંદિરના દર્શન કરીશું કે જે શ્યામ રંગના છે. હા તમે બરાબર સાંભળ્યું કાળા રંગના છે, કાળા રંગની મૂર્તિની વાત આવે તો આપણને શ્રી કૃષ્ણની યાદ આવે ખરું ને એટલે જ વિશેષ છે આ ભગવાન રામજીનું મંદિર. અહીંના રામજી કાળા રંગના છે તેથી જ કહેવાય “કાલા રામજી”. અહીં પ્રભુ શ્રી રામ માત્ર તેમના કાળા રંગની જ નથી ,અહીં પ્રભુની મૂર્તિ તમને બેઠેલા હોય તેમ પદ્માસન મુદ્રામાં જોવા મળશે.
આ પણ વાંચો :Ram Navami 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય
જૂના અમદાવાદમાં હાજા પટેલની પોળમાં આવેલું છે આ કાલા રામજી મંદિર. કહેવાય છે કે 600 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર છે. “પેશ્વા યુગના” કાલા રામજી તરીકે પણ પ્રસિદ્ધ છે. આ રામજી મંદિર શ્યામ રંગના હોય અને પદ્માસન મુદ્રામાં બિરાજમાન હોય તેવું આ મંદિર દેશભરમાં એકમાત્ર મંદિર છે. અહીં દર્શન કરવા ભાવિક ભક્તો અમદાવાદ ઉપરાંત દેશ વિદેશથી પણ આવે છે અને તેમના દર્શન કરી પોતે સૌભાગ્યશાળી હોવાનું માને છે.
કાલા રામજી મંદિરની ખ્યાતિ વિષે અમે મંદિરના પૂજારી સાથે વાત કરી. પૂજારીજીનું કહેવું છે એક નહીં પણ અનેક વિશેષતા છે આ રામજી મંદિરની. તેમણે કહ્યું ભગવાન શ્રીરામ જ્યારે માતા સીતાજી અને ભાઈ શ્રી લક્ષ્મણજી સાથે વનવાસમાં ગયા હતા અને ત્યાં તે સમયે વનમાં પ્રભુ શ્રીરામ અને ભાઈ ભરતજીના મિલન પ્રસંગની વાતના દ્રશ્યને તાદ્રશ્ય કરતી મૂર્તિ આ રામજી મંદિરમાં બિરાજમાન હોવાની વાયકા છે.
ભગવાન શ્રી રામજીની મૂર્તિ કાળા રંગના પથ્થરમાંથી કંડારવામાં આવેલી અને પ્રભુ બેઠેલા હોય તેવી મુદ્રા સાથે શ્રી રામજીની ડાબી બાજુ સીતાજીની મૂર્તિ છે અને જમણી બાજુ ભાઈ લક્ષ્મણ, જાણે કે તેમની સેવામાં ઉભેલા હોય તેવી મૂર્તિ લક્ષ્મણજીની લગભગ આ મંદિરમાં જ જોવા મળે છે.
મંદિરમાં લાકડાની કોતરણી વાળા થાંભલા મંદિરની શોભામાં જાણે અભિવૃદ્ધિ કરતા હોય તેવું લાગે છે. ઐતિહાસિક રામજી મંદિરમાં ઉત્સવની વાત કરીએ તો અહીં વર્ષ દરમિયાન માગસર સુદ પાંચમે રામ સીતાજીના વિવાહ શ્રાવણ માસમાં હિંડોળા નવરાત્રી દરમિયાન ઉત્સવો અને રામજીનો જન્મોત્સવ એટલે રામનવમીનો ઉત્સવ પણ હર્ષ અને ઉલ્લાસ સાથે ભાવિક ભક્તોની હાજરીમાં ઉજવાય છે અને ભાવિકો તેનો આનંદ માણીને પ્રભુમય બની જાય છે સાથે જ પોતાને સૌભાગ્યશાળી માને છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ભક્તિના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…