દિવાળી અને નવા વર્ષની લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. આ તહેવાર દરમિયાન 108 ઈમરજન્સીના કેસમાં દર વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. જો કે કેટલાક સ્થળોએ આ પ્રકારના કેસમાં વધારો પણ નોંધાયો છે. કોરોનાને કારણે બે વર્ષ બાદ આ વર્ષએ લોકોએ કોઈપણ પ્રતિબંધો વિના ઉત્સાહભેર નવા વર્ષની ઉજવણી કરી હતી. લોકોએ હજારો રૂપિયાના ફટાકડા ફોડ્યા. જેના કારણે શહેર અને રાજ્યમાં ક્યાંક પ્રદૂષણ પણ ફેલાયુ તો બીજી તરફ આ જ ફટાકડાઓના કારણે દાઝવાના કેસમાં અને અક્સ્માતના કેસ પણ સામાન્ય દિવસો કરતા વધુ નોંધાયા છે. 108 ઈમરજન્સી દ્વારા દર વર્ષે દિવાળી અને નવા વર્ષને લઈને જે ફોરકાસ્ટ કરવામાં આવે છે તે ફોરકાસ્ટની સરખામણીએ કેસમાં ઘટાડો નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
સામાન્ય દિવસોમાં 3000થી 3500ની આસપાસ ઈમરજન્સી કોલ નોંધાતા હોય છે. જેમાં દિવાળી દરમિયાન 4100થી લઈને 4500 આસપાસ કોલ નોંધાતા હોય તેવું ફોરકાસ્ટ કરવામાં આવ્યું. એટલે કે 25 ટકા જેટલા કેસમાં વધારો થાય તેવું ફોરકાસ્ટ 108 દ્વારા જાહેર કરી તેની પહોંચી વળવા તેવી જ તૈયારીઓ કરાઈ. જોકે આ વખતે તેટલો વધારો ન થતાં તંત્રએ રાહત અનુભવી.
સામાન્ય દિવસોમાં જે કેસ નોંધાતા હોય છે, તેની સરખામણીએ દિવાળી પર 4.26 ટકા પડતર દિવસ પર 6 ટકા જ્યારે નવા વર્ષના દિવસે 17 ટકા જેટલા કેસમાં વધારો નોંધાયો. રોડ એક્સિડન્ટની વાત કરીએ તો ત્રણ દિવસમાં 914 કેસ નોંધાયા, જે સામાન્ય દિવસમાં 424ની આસપાસ હોય છે. એટલે કે રોડ અકસ્માત કેસમાં 115 ટકા ઉપર વધારો નોંધાયો અને તેમાં પણ ટુ-વ્હીલર અકસ્માતના કેસમાં આ વર્ષે 82% કેસ નોંધાયા જે દર વર્ષની સરખામણીએ 15 ટકા વધુ કેસ છે. જેમાં સામાન્ય દિવસ માં 325 કેસ હોય છે. જેની સામે તહેવાર દરમિયાન 532 જેટલા કેસ નોંધાયા.
રોડ અકસ્માતમાં શહેર પ્રમાણે જો કેસ જોઈએ તો ત્રણ દિવસમાં અમદાવાદમાં 271 કેસ જે 40 ટકા વધુ કેસ છે. જ્યારે સુરતમાં 190 કેસ જે 87 ટકા વધુ કેસ છે. જ્યારે વડોદરામાં 111 કેસ જે 42 ટકા વધુ કેસ નોંધાયા છે. તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં 350% ઉપર છોટાઉદેપુરમાં 350% ઉપર મહીસાગરમાં 350% ઉપર અને નવસારીમાં 250% ઉપર કેસ રોડ અકસ્માતના નોંધાયા.
ફિઝિકલ એસોલ્ટ કેસની જો વાત કરવામાં આવે તો ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં 157 કેસ નોંધાયા જે 53% વધુ છે. દાહોદમાં 61 કેસ નોંધાયા જે 450% ઉપર વધુ કેસ છે. ભાવનગરમાં 31 કેસ નોંધાયા જે 187% ઉપર વધુ કેસ છે. જૂનાગઢમાં 26 કેસ નોંધાયા જે 450% જેટલા વધુ કેસ છે. તેમજ દિવાળીથી નવા વર્ષ દરમિયાન ત્રણ દિવસમાં રાજ્યમાં દિવાળીના દિવસે 30 જેટલા દાઝવાના કેસ નોંધાયા. જે સામાન્ય દિવસમાં 6 કેસ હોય છે. એટલે કે 400% વધુ કેસ આ વર્ષે નોંધાયા છે. તો પડતર દિવસે દાઝવાના 18 કેસ જ્યારે નવા વર્ષે 14 કેસ નોંધાયા છે.
જો દાઝવાના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 17, સુરત અને રાજકોટમાં 7 કેસ, કચ્છમાં 5 કેસ, વડોદરા અને ભરૂચમાં ત્રણ ત્રણ કેસ જ્યારે ગાંધીનગર ભાવનગર આણંદ મહીસાગર અને કચ્છમાં દરેક સ્થળે બે બે કેસ નોંધાયા છે, જ્યારે વલસાડ અમરેલી છોટાઉદેપુર બોટાદ જુનાગઢ દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં દરેક સ્થળે એક એક કેસ નોંધાયા છે.
એટલું જ નહીં આ વર્ષે પશુઓના અકસ્માતને લગતા કેસોમાં પણ વધારો નોંધાયો છે. સામાન્ય દિવસમાં જે 20 કેસ નોંધાતા હતા તેની સરખામણીએ આ વર્ષે 62 જેટલા કેસ નોંધાયા છે.