અમદાવાદમાં વ્યાજખોરો બેફામ, 10થી 40 ટકા વ્યાજ વસુલી મિલકત પચાવી પાડનારા 6 વ્યાજખોરો સામે ફરિયાદ, ત્રણની કરાઈ ધરપકડ

Ahmedabad: એક વેપારી પાસેથી અલગ અલગ છ લોકોએ કરોડો રૂપિયાની વ્યાજની ઉઘરાણી કરવાની ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોરોમાં કોંગ્રેસનો પ્રવક્તા અને નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર, એનજીઓ સંચાલક અને હેલ્થકેર કંપનીની સીઈઓ તેમજ કેટરિંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાજખોરોની ધરપકડ કરી છે.

અમદાવાદમાં વ્યાજખોરો બેફામ, 10થી 40 ટકા વ્યાજ વસુલી મિલકત પચાવી પાડનારા 6 વ્યાજખોરો સામે ફરિયાદ, ત્રણની કરાઈ ધરપકડ
વ્યાજખોરોની ધરપકડ
| Edited By: | Updated on: Jan 22, 2023 | 8:23 PM

અમદાવાદના એક વેપારી પાસેથી અલગ અલગ છ લોકોએ કરોડો રૂપિયાની વ્યાજની ઉઘરાણી કરવાની ફરિયાદ નોંધાઇ છે. વ્યાજખોરોમાં કોંગ્રેસના પ્રવક્તા અને નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર, એનજીઓ સંચાલક અને હેલ્થકેર કંપનીની CEO તેમજ કેટરિંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાજખોરોની ધરપકડ કરી છે.

રાજ્યમાં હાલ મોટાપાયે વ્યાજખોરો સામે ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી વ્યાજની રકમ નોંધાઈ છે, જેમાં એક મહિલા સહિત છ વ્યાજખોરો સામે ક્રાઈમ બ્રાન્ચના EOW વિભાગમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વેપારીની ફરિયાદને આધારે છમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ત્રણેય આરોપીની પૂછપરછ અને તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. અમદાવાદના વેપારી જીગીસ પટેલ પોતાની એક જમીન મામલામાં પૈસા ફસાઈ ગયા હતા, જેને કારણે તેને પૈસાની જરૂર પડી હતી.

પૈસાની જરૂરિયાતને લઈને વેપારી જીગીસનો જાગૃત રાવલ સાથે સંપર્ક થયો હતો અને જાગૃતે વેપારીને પૈસા માટે વ્યાજખોરોનો સંપર્ક કરાવ્યો હતો. જોકે વ્યાજના ચક્કરમાં ફસાયેલા વેપારી જીગીસે પોતાના ઘરે જાણ કરી હતી નહીં અને વ્યાજખોરોનો ત્રાસ વધી જતાં તે આપઘાત કરવા ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે જિગીસને શોધી ઘર છોડવાનું કારણ પૂછતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ વેપારીએ વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ ત્રણ આરોપી વાઈટ કોલર ક્રિમિનલ એટલે કે વ્યાજખોરો છે. આ આરોપીઓએ 3.78 કરોડની સામે 9.95 કરોડ રૂપિયા વસુલ કર્યા છે. સાથે જ બીજા 3.36 કરોડ બાકી છે તેમ કહી ઉઘરાણી કરતા હતા અને વેપારીને ધમકીઓ આપતા હતા. પોલીસે છ માંથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં કોંગ્રેસના હોદેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર જયેન્દ્રસિંહ પરમાર, કેટરિંગનો ધંધાર્થી હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીની સીઈઓ અને એનજીઓ સંચાલક નિરાલી શાહની ધરપકડ કરી છે. સાથે જ આ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, એજ્યુકેશનનાં વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડ અને જાગૃત રાવલની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: વ્યાજખોરો સામે મેગા ડ્રાઇવ: 16 જાન્યુઆરી સુધીમાં 1288 લોક દરબાર, 635 વ્યાજખોર આરોપીની ધરપકડ

આરોપી જયેન્દ્ર પરમારના પિતા નિવૃત્ત પોલીસ અધિકારી છે અને પોતે કોંગ્રેસમાં હોદેદાર તરીકે પણ જોડાયેલા હોવાની હકીકત સામે આવી છે. જયેન્દ્ર પરમારે વેપારીને 38 લાખ 10% ના વ્યાજે આપ્યા હતા, જેની સામે અંદાજિત એક કરોડ રૂપિયા વસૂલી 38 લાખ બાકી હોવાની ઉઘરાણી કરી હતી.

બીજા મહિલા આરોપી નિરાલી શાહે વેપારીને એક કરોડ 33 લાખ 60 હજાર રૂપિયા 10%ના વ્યાજે આપ્યા હતા, જેની સામે એક કરોડ 82 લાખ 75 હજાર વસુલી લીધા છે, ઉપરાંત જે મકાનમાં રહેતી હતી તે મકાનનું ફર્નિચર અને ભાડું પણ વેપારી પાસે ભરાવ્યું હતું, તેમ છતાં એક કરોડ 90 લાખની બાકી ઉઘરાણી માટે છ ચેકો પણ બળજબરીથી પડાવી લીધા હતા.

ત્રીજા આરોપી હેમાંગ પંડિતે ફરિયાદીને 38 લાખ રૂપિયા આપ્યા હતા, તેની સામે 93,50,000 વસુલી 14 લાખ પડાવવા ધમકી આપવામાં આવતી હતી. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ કરતા આરોપીઓના ઘરેથી 20 કોરા ચેક, 11 પ્રોમેશનરી નોટ, 4 કોરા સ્ટેમ્પ, ડેઈલી વ્યાજના હિસાબની ડાયરી અને વાઉચરો મળી આવ્યા છે. જેમાંથી નિરાલી શાહના ઘરેથી 15 લાખની રિસિપ્ટ મળી છે સાથે જ જાગૃત રાવલના ઘરેથી 20 કોરા ચેક, પ્રોમેશનરી નોટ સહીતના દસ્તાવેજી પુરાવા કબ્જે કર્યા છે.

સાથે જ આ ગુનામાં ફરાર આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડે 92 લાખની સામે 40% વ્યાજ વસૂલી 3 કરોડ 61 લાખ તથા મણીપુર ગામનો પ્લોટ પણ પોતાના નામે કરાવી લીધો હતો. વ્યાજખોરોએ 10થી 40 ટકા સુધીનું વ્યાજ વસૂલ કર્યું છે જેને લઈને વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે તેમના બેંક સ્ટેટમેન્ટ, વ્યાજખોરીના રૂપિયામાંથી ખરીદેલી મિલકત અંગે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ફરાર વધુ ત્રણ આરોપીની પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.