
સમાજસેવી અને સેવા સંસ્થાના સંસ્થાપક ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. ઇલાબેને મહિલાઓ માટે ‘સેવા’ સેલ્ફ-ઇમ્પ્લોઈડ વિમેન્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા (Self-Employed Women’s Association of India) સંસ્થાની સ્થાપના કરી હતી. તેઓ પદ્મભૂષણ એવોર્ડથી માંડીને રેમન મેગ્સેસે એવોર્ડ સહિતના એવોર્ડથી સન્માનિત હતા. અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રહ્યા છે ઇલાબેન. તેઓ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદે સેવા આપી રહ્યા હતા અને થોડા સમય પહેલા નાદુરસ્ત તબિયતના કારણે તેમને વિદ્યાપીઠના કુલપતિ પદેથી રાજીનામું આપ્યું હતું.
ઇલાબેન ભટ્ટનું આજે ખાનગી હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટના કારણે અવસાન થયું હતું. આવતીકાલે તેમની અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે.
મૂળ ઇલા બેન વ્યવસાયે વકીલ હતાં. ઇલાબહેન ભટ્ટે વર્ષ 1972 માં સેવા (Self-Employed Women`s Association) નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે શરૂ કરેલી સંસ્થા સેલ્ફ ઇમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન (SEWA – સેવા) એટલે કે સ્વરોજગાર મહિલા સંઘ દ્વારા દેશની લાખો મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સાબરમતી આશ્રમ પ્રિવેન્શન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT)ના તેઓ ચેરમેન હતાં.
સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે તેમણે કરેલાં કાર્યોને ભારત દેશની સરકારે તેમજ અન્ય દેશોએ બિરદાવ્યા છે. તેમના સમાજલક્ષી કાર્યો બદલ તેમને વિવિઘ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
Published On - 3:59 pm, Wed, 2 November 22