ગુજરાત કોંગ્રેસના(Congress)વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીના(Bharatsinh Solanki) વિવાદીત નિવેદન મુદ્દે હાર્દિક પટેલે (Hardik Patel)પણ આકરા પ્રહાર કર્યા. સાથે જ પોતાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો. હાર્દિકે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના નેતા કોઈ પણ રીતે ટીવી ચર્ચાઓમાં રહેવા માગે છે.. તેમણે કહ્યું કે, કોંગ્રેસે હંમેશા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ જ કર્યું છે. હાર્દિકે દાવો કર્યો કે, હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે પણ રામ મંદિરના નિર્માણના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. મે અને મારા પરિવારે રામ મંદિર નિર્માણમાં સહયોગ આપ્યો છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસે મંદિર નિર્માણમાં એક પણ રૂપિયાનો ફાળો આપ્યો નથી.
રામ મંદિર માટે ઉઘરાવેલી ઇંટો પર શ્વાન પેશાબ કરતા હતા. આ વિવાદીત નિવેદન આપ્યું છે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ. જાહેર કાર્યક્રમના મંચ પરથી ભરતસિંહ સોલંકીએ રામ મંદિરનો રાગ આલાપ્યો અને સભ્ય સમાજને ન શોભે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો. ભરતસિંહ આટલેથી જ ન અટક્યા, અને રામ મંદિરના નામે ભાજપ પર પણ પ્રહાર કર્યો. ભરતસિંહે ભાજપ પર રામ મંદિરના નામે રૂપિયા ઉધરાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. મંચ પરથી ભાષણમાં અભદ્ર ભાષાના ઉપયોગ બાદ પણ ભરતસિંહ પોતાના નિવેદન પર અડગ રહ્યા. જોકે તેઓએ સ્પષ્ટતા કરી કે, તેમની ટિપ્પણી રામ મંદિર મુદ્દે નહીં, પરંતુ ભાજપની ખોટી રાજનીતિ મુદ્દે હતી.
વટામણ ખાતે કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં ભરતસિંહ સોલંકીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હિન્દૂના નામે ભાગલા પડાવી રાજ કરનાર ભાજપ સરકારને ઓળખો. તેમણે એમ પણ કહ્યું કે બક્ષીપંચ સમાજને સાથે રાખ્યા વગર ચૂંટણી ના જીતી શકાય. ભાજપ સરકારમાં મહત્વના ખાતા ઉજળીયાતોને અપાય છે.