અમદાવાદની શોભા વધારવા કોર્પોરેશને મુક્યા અવનવા સ્કલ્પચર, પરંતુ જૂની કૃતિઓ બની બેહાલ

AMCએ તાજેતરમાં વિવિધ સર્કલ પર સ્કલ્પચર મુક્યા છે. પણ જુના સર્કલ, કૃતિઓ અને સકલ્પચરની હાલત અંગે તંત્ર દરકાર નથી લઈ રહ્યું તે સર્કલની હાલત બતાવે છે.

અમદાવાદની શોભા વધારવા કોર્પોરેશને મુક્યા અવનવા સ્કલ્પચર, પરંતુ જૂની કૃતિઓ બની બેહાલ
sculpture
| Edited By: | Updated on: Aug 05, 2023 | 7:40 AM

Ahmedabad : અમદાવાદની શોભા વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) શહેરમાં અવનવા સ્કલ્પચરો ચાર રસ્તા ઉપર મૂક્યા. જેને લોકો આવકારી રહ્યા છે. પરંતુ જૂની કૃતિઓ અને સ્કલ્પચરોની અને ફુવારાઓની હાલત શું છે તેની તંત્રએ દરકાર સુદ્ધા પણ ન લીધી. જેના કારણે લોકોમાં નારાજગી વ્યાપી છે.

આ પણ વાંચો Ahmedabad: અંગ્રેજોના સમયના એલિસબ્રિજને અપાશે નવી ઓળખ અમદાવાદીઓ માટે બનશે નવું ડેસ્ટિનેશન

અમદાવાદ શહેર કે જે ગુજરાત રાજ્યનું સૌથી વિકસિત શહેર માનવામાં આવે છે. જ્યાં દરરોજ કંઈક નવું લોકોને જોવા મળે છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સમયાંતરે લોકોની સુવિધામાં વધારો કરે છે. તેમ જ અમદાવાદના આકર્ષણમાં વધારો થાય તે માટેના પણ પ્રયાસો કોર્પોરેશન કરતું રહે છે. આવો જ પ્રયાસ તાજેતરમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો. જેમાં કોર્પોરેશનને વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર ગાંધીજી, બુલ સહિત 10થી વધારે સ્કલ્પચરો બનાવીને વિવિધ ચાર રસ્તા ઉપર મૂક્યા હતા.

જૂની કૃતિઓ બની બેહાલ

આ સ્કલ્પચરોએ શહેરીજનોમાં એક અલગ આકર્ષણ ઊભું કર્યું. પરંતુ શહેરમાં જે જૂની કૃતિઓ ચાર રસ્તા ઉપર આવેલી છે તેની દરકાર લેવાનું આ કોર્પોરેશન ભૂલી ગયુ અને આ અમે નહીં પરંતુ જુના સર્કલ કહી રહ્યા છે. મકરબા પોલીસ હેડ ક્વાટર પાસેના ચાર રસ્તા પર સુદર્શન ચક્ર ધારી હાથ મુકવામાં આવ્યો હતો. જે બીપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે હાથમાંથી સુદર્શન ચક્ર તૂટી ગયું હતું. સ્થાનિકની વાત માનીએ તો તે સુદર્શન કોઈ વાહન ચાલક કારમાં લઈ ગયો.

જે બાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું સાથે જ પોલીસની ટીમ પણ તપાસમાં આવી કે તે સુદર્શન કોણ લઇ ગયું. જેને કારણે સ્થાનિકને શંકા છે કે તે સુદર્શનની ચોરી થઈ હોઈ શકે છે. જે બાબત ક્યાંક તંત્રની બેદરકારી પણ છતી કરે છે. જેની સાથે અન્ય સ્થાનિકોએ નવા સ્કલ્પચરોને આવકારીને જૂના સ્કલ્પચરો અને કૃતિઓ બાબતે તંત્ર સમારકામ અને સાર સંભાળ નહીં રાખતી હોવાના આક્ષેપ કરીને યોગ્ય ધ્યાન આપવા અપીલ કરી.

શાહીબાગમાં ઘેવર ચાર રસ્તા પર બનાવવામાં આવેલ સર્કલની રેલિંગ તૂટી

એક ઘટના સામે આવતા TV9ની ટીમે શહેરમાં અન્ય ચાર રસ્તા પર આવેલ કૃતિઓની હાલત કેવી છે તે તપાસ કરી. તો તપાસમાં સામે આવ્યું કે શાહીબાગમાં ઘેવર ચાર રસ્તા પર બનાવવામાં આવેલ સર્કલની રેલિંગ તૂટી ગઈ છે. તેમજ સર્કલ વચ્ચે મુકવામાં આવેલ કળશમાં નારિયેળની પ્રતિકૃતિમાં હોલ પડ્યો છે. તે સિવાય રખિયાલ ડાયનોસોર સર્કલ ખાતે સર્કલમાં ગંદકી છે સાથે જ ફુવારામાં કેટલીક નોઝલ કામ નથી કરી રહી તેમજ ફુવારાની દીવાલ પણ તૂટી ગઈ છે. જ્યાં કોન્ટ્રાક્ટર અને AMCને અનેક રજુઆત છતાં કોઈ દરકાર લેવામાં નથી આવી રહી તેવા સર્કલને દેખરેખ રાખનાર વ્યક્તિએ આક્ષેપ લગાવ્યા.

બાપુનગર ચાર રસ્તા પર આવેલ ફુવારો બંધ હાલતમાં

બાપુનગર જનરલ હોસ્પિટલ પાસે સર્કલમાં વીજના વાયરો ખુલ્લા દેખાય છે જે લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે કેમ કે ત્યાં વરસાદમાં પાણી ભરાયા છે. તેમજ બાપુનગર ચાર રસ્તા પર રહેલ ફુવારો દોઢ વર્ષથી બંધ હોવાના સ્થાનિકે આક્ષેપ કરી જુના સર્કલ અને કૃતિઓ પર તંત્ર ધ્યાન આપે તેવી અપીલ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે AMCએ તાજેતરમાં વિવિધ સર્કલ પર સ્કલ્પચર મુક્યા છે. પણ જુના સર્કલ, કૃતિઓ અને સ્કલ્પચરની હાલત અંગે તંત્ર દરકાર નથી લઈ રહ્યું તે સર્કલની હાલત બતાવે છે. ત્યારે જરૂરી છે કે AMC નવા પ્રયાસ સાથે જુના પ્રયાસો પર ધ્યાન આપી યોગ્ય મેન્ટેનન્સ રાખે જેથી દરેક વસ્તુની જાળવણી યોગ્ય રીતે થઈ શકે અને તેનાથી અમદાવાદના આકર્ષણ કે ઓળખ પર ખરાબ અસર ન પડે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો