Ahmedabad Breaking News: ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલમાં કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવતા વિવાદ, ABVPના કાર્યકરોએ શિક્ષકને માર્યો માર

Ahmedabad: અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્ષ સ્કૂલમાં ગણેશોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવતા વિવાદ વકર્યો છે. ગણેશોત્સવ અને ઈદની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન નમાઝ અદા કરવામાં આવી હતી. જેની સામે ABVPના કાર્યકરો અને વાલીઓએ સખત વિરોધ દર્શાવ્યો. ઉશ્કેરાયેલા ABVPના કાર્યકરોએ શિક્ષકને માર માર્યો હોવાનુ પણ સામે આવ્યુ. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીઓ પણ સ્કૂલને નોટિસ ફટકારી ખૂલાસો કરવા આદેશ કર્યો છે.

| Edited By: | Updated on: Oct 05, 2023 | 2:03 PM

Ahmedabad: અમદાવાદમાં ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં ગણેશોત્સવ અને ઈદ નિમીત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે કેટલાક વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરવવામાં આવી હતી. જેને લઈને સમગ્ર વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવા મામલે વાલીઓએ પણ સખ્ત વિરોધ નોંધાવ્યો છે. આ અંગે ABVPના કાર્યકરોને જાણ થતા તેઓ સ્કૂલમાં ધસી આવ્યા હતા અને નમાઝ અદા કરાવનાર શિક્ષકને માર માર્યો હતો.

શાળા તંત્રએ નમાઝના કાર્યક્રમના આયોજન બદલ માગી માફી

નમાઝનો વીડિયો વાયરલ થતા હિંદુ સંગઠનોએ પણ વિરોધ નોંધાવ્યો છએ. વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળામાં પહોંચી વિરોધ કર્યો. ABVPના કાર્યકરોએ નમાઝ પઢાવનારા શિક્ષકને બેરહેમીથી માર માર્યો હતો. જો કે વિવાદને પગલે શાળા તંત્ર દ્વારા નમાઝના કાર્યક્રમ બદલ માફીનામુ પણ જાહેર કરવામાં આવ્યુ છે. સમગ્ર વિવાદ પર શાળા દ્વારા માફી માગી લેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી શાળા દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. માફીનામામાં પણ આવી ભૂલ ન થાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારીઓ નોટિસ ફટકારી માગ્યો ખૂલાસો

કેલોરેક્સ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ નોટિસ ફટકારી નમાઝ પ્રવૃતિ મુદ્દે તાત્કાલિક જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. નોટિસમાં ધાર્મિક લાગણીને દુભાવી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ અંગે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમને ખૂલાસો કરવા આદેશ કરાયો છે

મદરેસાઓમાં ગીતાના શ્લોક ન શીખવવામાં આવતા હોય તો હિંદુ શાળામાં નમાઝ શા માટે?- વાલીઓ

નમાઝનો વિવાદ સામે આવ્યા વાલીઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વાલીઓનું સ્પષ્ટ કહેવુ છે કે મદરેસાઓમાં જો ક્યારેય ગીતાના શ્લોક શીખવવામાં ન આવતા હોય તો હિંદુ શાળાઓમાં પણ નમાઝ ન પઢાવવી જોઈએ. હિંદુઓની સ્કૂલમાં ગીતાના શ્લોક ચાલે. જો કે એક વાલીનો એવો પણ આક્ષેપ છે કે કેલોરેક્સ સ્કૂલ દ્વારા તેમણે નથી જોયુ કે ક્યારેય વિદ્યાર્થીને ગીતાનો એકપણ શ્લોક શીખવવામાં આવ્યો હોય. તો નમાઝ પણ શા માટે તેવો સવાલ પણ વાલીઓ ઉઠાવી રહ્યા છે.

ભવિષ્યમાં આવુ કૃત્ય થશે તો શાળા સામે પગલા લેવામા આવશે- મેહુલ ગોસ્વામી, હિંદુ પરિષદ

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના મેહુલ ગોસ્વામીએ જણાવ્યુ કે સ્કૂલમાં નમાઝ અંગે સ્કૂલ સામે સખ્ત વિરોધ નોંધાવ્યો છે અને ભવિષ્યમાં ક્યારેય પણ શાળા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં ન આવે તે અંગેની બાંહેધરી લેવામાં આવી છે. જો ભવિષ્યમાં ફરી આ પ્રકારનું કોઈ કૃત્ય થશે તો શાળા સામે પગલા લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યુ.

આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદમાં સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો, કાળીગામ અંડરબ્રિજ નજીક ગંદકીનું સામ્રાજ્ય 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 3:21 pm, Tue, 3 October 23