બોટાદ (Botad) જિલ્લાના બરવાળાના ઝેરી દારુકાંડ (lattha kand) કેસમાં કેટલાક બીમાર દર્દીઓની તબિયત વધુ લથડી રહી છે. ત્યારે ભાવનગરની સર. ટી. હોસ્પિટલમાં દાખલ અને વધુ બીમાર દર્દીઓને હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) વધુ દર્દીઓને લાવવામાં આવ્યા છે. ગઇકાલે એટલે કે 26 જુલાઇએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે રાત્રે 9 વાગ્યા સુધી 17 દર્દીઓ દાખલ હતા. હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધીને 37 થઇ ગઇ છે. આ દર્દીઓની તબિયત વધુ નાજુક જણાતા અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યાછે. હાલ આ 34 દર્દીઓની તબિયત સ્થિર છે. તો ત્રણ દર્દીઓની હાલત ગંભીર છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઝેરી દારુકાંડના 37 જેટલા દર્દીઓને એકપછી એક ખસેડવાની ફરજ પડી છે. 25 જુલાઇએ રાત્રે જે રીતે લઠ્ઠાકાંડની ઘટના બહાર આવી હતી, તે રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જેથી જો દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવે તો તેની સારવાર ત્વરિત થાય. પ્રાથમિક ધોરણે દર્દીઓની સારવાર બોટાદ અને ભાવનગરની સર. ટી હોસ્પિટલમાં કરવામાં આવી. જો કે કેટલાક દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યા છે. બીજી તરફ મૃત્યુઆંક જે રીતે વધી રહ્યો છે તેને જોતા બોટાદના સ્થાનિક તબીબોએ કોઇપણ જાતનુ જોખમ લીધુ ન હતુ અને કેટલાક દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવાનું યોગ્ય માન્યુ હતુ. તો ત્રણ દર્દીઓ વેન્ટિલેટર છે.
ગઇકાલે એટલે કે 26 જુલાઇ રાત્રે 9 કલાક સુધી સિવિલમાં ઝેરી દારુકાંડના 17 દર્દી દાખલ હતા. જો કે આજે સવાર સુધીમાં આ દર્દીઓનો આંકડો વધીને 41 પર પહોંચ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 34 દર્દીઓનું સ્વાસ્થ્ય સ્થિર છે. હજુ પણ તેમની સારવાર ચાલી રહી છે. ભાવનગરમાં સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોઇપણ દર્દીની હાલત જો નાજુક જણાશે તો તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.
હજુ દર્દીઓની સંખ્યા વધે તો તૈયારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ તંત્રએ નવો વોર્ડ શરૂ કર્યો છે. C7 બાદ નવો વોર્ડ B4 શરૂ કરવામાં આવ્યો છે. જોકે સુપરિન્ટેન્ડેન્ટનું કહેવું છે કે, દરેક દર્દીને એક જ વોર્ડમાં રાખવામાં આવે તેવી કોશિશ રહેશે. કારણ કે આસપાસના ગામવાળા દર્દીઓ એકસાથે રહેશે તો તેમનું મનોબળ વધશે અને હૂંફ મળી રહેશે. સિવિલ હોસ્પિટલમાં દાખલ મોટાભાગના દર્દીઓને ધૂંધળું દેખાવાની ફરિયાદ છે.. સાથે જ પેટમાં અતિશય દુખાવા અને ઊલટી થવાની પણ ફરિયાદ છે. સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે- આવા કેસમાં ભૂતકાળમાં અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે.. પરંતુ હાલમાં દાખલ દર્દીઓની તબિયતમાં સુધારો આવી રહ્યો છે.. વધારે ધૂંધળું દેખાતું હતું તેમનું વિઝન હવે ક્લિયર થઈ રહ્યું છે.
બરવાળા ઝેરી દારૂ કાંડમાં મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી સરટી હોસ્પિટલમાં કુલ 97 દર્દીઓને લવાયા. જેમાંથી 18 વ્યક્તિના મોત થયા છે અને 80 લોકો સારવાર હેઠળ છે.. ભાવનગર અને અમદાવાદ સહિત વિવિધ હોસ્પિટલમાં કુલ 144 લોકો સારવાર હેઠળ છે. બીજીતરફ મોતનો આંકડો વધવાની શક્યતા છે. કયા ગામમાં કેટલા મોત થયા તેની વાત કરીએ તો, રોજિદ ગામમાં 10 લોકોનાં મોત થયા છે.. જ્યારે દેવગાણા ગામમાં 5 લોકોનાં મોત થયા છે..ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોનાં મોત થયા છે.. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે. જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે.
Published On - 2:01 pm, Wed, 27 July 22