રીક્ષાચાલકોનું અલ્ટીમેટમ, CNG અંગે 7 દિવસમાં હકારાત્મક જવાબ નહી તો દિવાળી બાદ રાજ્યભરમાં હડતાળ કરશે

|

Oct 27, 2021 | 7:55 PM

CNGના વધેલા ભાવ મુદ્દે સરકાર કોઈ ચોક્કસ પગલા નહીં લે તો 31મી ઓક્ટોબરના રોજ રીક્ષા યુનિયનના આગેવાનો બેઠક કરી હડતાળ અંગે નિર્ણય કરશે.

AHMEDABAD : અમદાવાદ સહિત રાજ્યના વિવિધ રીક્ષા યુનિયન દિવાળી બાદ હડતાળ પાડશે. જે રીતે CNGના ભાવમાં વધારો થયો છે તેને જોતા રીક્ષાચાલકોએ હડતાળ પાડી રીક્ષાના ભાડામાં ઉચ્ચક વધારો કર્યો હતો. રીક્ષાચાલકોની હડતાળને ગંભીરતાથી લઈ RTO અધિકારીએ તમામ રીક્ષા યુનિયન સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં મહત્વના મુદ્દાની ચર્ચા કરવામાં આવી. રીક્ષા યુનિયન આગેવાનોનું કહેવું છે કે સકારાત્મક વાતાવરણમાં આ બેઠક પૂર્ણ થઈ હતી. જેથી હાલ પૂરતા રીક્ષાચાલકોએ ભાડામાં કોઈ જ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.પરંતુ જો CNGના વધેલા ભાવ મુદ્દે સરકાર કોઈ ચોક્કસ પગલા નહીં લે તો 31મી ઓક્ટોબરના રોજ રીક્ષા યુનિયનના આગેવાનો બેઠક કરી હડતાળ અંગે નિર્ણય કરશે.

આ તરફ RTO અધિકારીનું કહેવું છે કે હાલ રીક્ષાચાલકો તરફથી કોઈ જ ભાવવધારો કરવામાં નહીં આવે.સાથે જ CNGના ભાવ મુદ્દે સરકાર સાથે જે વાતચીત થશે તે અંગે રીક્ષા યુનિયનોને માહિતગાર કરવામાં આવશે.

અમદાવાદમાં CNGના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકોએ ભાડામાં વધારો કરી દીધો હતો. ઓટો રીક્ષા ચાલક વેલફેર એસોસિએશને ભાવમાં ઉચ્ચક વધારો કર્યો હતો . ઓછામાં ઓછું ભાડું 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું, કિલોમીટરી દીઠ 10 રૂપિયાને બદલે 15 રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ સાથે વેઇટિંગ ચાર્જમાં 5 મિનિટનો 1 રૂપિયો હતો તેને વધારીને 5 રૂપિયા કરવામાં આવ્યાં હતા. પણ હવે હાલ પૂરતા ઉચ્ચક ભાડામાં વધારો કરવાનું ટાળવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને દિવાળી પૂર્વે અપાશે સિંચાઇ માટે પાણી

આ પણ વાંચો : હવે નાનો ગેસ સિલિન્ડર તમારા ઘર નજીક સરળતાથી મળશે, જાણો ક્યાંથી મેળવશો

Next Video