ગણેશ મહોત્સવનો (Ganesh Chaturthi 2022) તહેવાર અમદાવાદમાં (Ahmedabad) ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એક તરફ જ્યાં શહેરના બજારોમાં ભક્તો બાપ્પાની પૂજા અર્ચના કરવામાં વ્યસ્ત છે. જ્યાં બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) તરફથી ગણેશ વિસર્જનની તૈયારીઓમાં લાગી ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગણેશ વિસર્જન માટે શહેરમાં વિવિધ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં ગણેશ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશ ઉત્સાહનો પર્વ મનાવી રહ્યા છે. અમદાવાદમાં ઘરે ઘરે અને સોસાયટીઓમાં દૂંદાળા દેવની સ્થાપના થઈ ચુકી છે. ભક્તોએ અવનવી થીમ પર ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યાં બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગણેશ ભક્તો શ્રીજીની સેવા ન કરી શક્યા. પરંતુ આ વર્ષે મોટી સંખ્યામાં લોકોએ ઘરે શ્રીજીની સ્થાપના કરી છે. ત્યારે સ્વાભાવિક છે કે જેટલી મોટી ઉજવણી થઇ રહી છે તેટલી જ મોટી અને સુયોગ્ય વ્યવસ્થા પણ પાલિકાએ કરવી પડે. જેથી ગણેશ વિસર્જન દરમિયાન ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે AMCએ સાત ઝોનમાં 70થી વધુ ગણેશ વિસર્જન કુંડની વ્યવસ્થા કરી છે.
આ વર્ષે 7 ઝોનમાં 70થી વધુ વિસર્જન કુંડ તૈયાર કર્યા છે. જેમાં સૌથી વધુ કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવમાં આવ્યા છે. મોટી સંખ્યામાં વિસર્જન કુંડ બનાવવા પાછળનું કારણ એ જ છે કે એક જ સ્થળ પર ભક્તોની ભીડ ન થાય સાથે જ યોગ્ય રીતે સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરી શકાય. આ સાથે જ મેયરે પણ ભક્તોને ઈક્કો ફ્રેન્ડલી ગણેશાની સ્થાપના કરવાની પણ અપીલ કરી છે.
બીજી તરફ અમદાવાદમાં ગણપતિ વિસર્જનને લઈને પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 70થી વધુ વિસર્જન કુંડ કાયમી ધોરણે રાખવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે શ્રાવણ અને ભાદરવા મહિનામાં કુંડ બનાવવા પાછળ ચાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. જેથી કુંડ પાછળ દર વર્ષે ખર્ચ ન કરવો પડે અને તે રૂપિયાના જનતાના હિત માટે વપરાય તે માટે આ નિર્ણય કરાયો છે.