Ahmedabad: એવું તે શું થયું કે વિદ્યાર્થી શાળામાંથી ભાગી ગયો, 24 કલાકથી નથી કોઈ અતોપતો, જાણો સમગ્ર ઘટનાક્રમ

શાળા સંચાલકોએ માનવના વાલીને આ ઘટના અંગે જાણ કરીને શાળાએ આવવા માટે કહ્યું હતું, પરંતુ વાલી શાળાએ આવે તે પહેલા જ માનવ શાળામાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળે છે.

Ahmedabad: એવું તે શું થયું કે વિદ્યાર્થી શાળામાંથી ભાગી ગયો, 24 કલાકથી નથી કોઈ અતોપતો, જાણો સમગ્ર ઘટનાક્રમ
| Edited By: | Updated on: Jan 21, 2023 | 2:57 PM

શહેરના ઠક્કરબાપા નગર વિસ્તારમાં આવેલી રઘુવીર વિદ્યા વિહાર સ્કૂલમાંથી બાળક ગુમ થવાની ઘટના સામે આવી છે. જે ઘટનામાં બાળકના વાલીઓ તેમજ અન્ય વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો કર્યો હતો અને બાળકને શોધી લાવવા માગ કરી હતી. વાલીઓએ શાળાની બેદરકારીના આક્ષેપ પણ કર્યા છે. ગુમ થયેલો વિદ્યાર્થી તથા અન્ય એક વિદ્યાર્થીને સ્વાધ્યાય પોથીના મુદ્દે વાલીઓને બોલાવવા માટે કહ્યું હતું ત્યારે વાલી આવે તે પહેલા જ બાળક ભાગી ગયો હોત અને ત્યાંથી જ આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો.

જાણો શું છે સમગ્ર ઘટના?

જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ધોરણ નવમાં અભ્યાસ કરતો માનવ અગ્રવાલ શાળાએ આવ્યો તે બાદ તેની બેગમાંથી અન્ય બાળકની સ્વાધ્યાયપોથી મળી આવી હતી. આ મુદ્દે શિક્ષકે  તેને  ઠપકો આપ્યો હતો અને શાળાની ઓફિસમાં બંને બાળકોને મોકલી આપ્યા હતા, બીજો  બાળક એ  હતો જેની સ્વાધ્યાયપોથી માનવ અગ્રવાલની સ્કૂલ બેગમાં હતી. બાળકની સ્વાધ્યાયપોથી હતી તેને ક્લાસરૂમમાં મોકલાયો  હતો ,જ્યારે માનવ અગ્રવાલને સ્કૂલ કમ્પાઉન્ડમાં બેસાડી રાખ્યો હતો અને તેના વાલીઓને બોલાવવા માટે કહ્યું હતું.

વાલીઓના આવતા પહેલા જ બાળક ભાગી ગયો

શાળા સંચાલકોએ માનવના વાલીને આ ઘટના અંગે જાણ કરીને શાળાએ આવવા માટે કહ્યું હતું, પરંતુ વાલી શાળાએ આવે તે પહેલા જ  માનવ શાળામાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળે  છે કે શાળાના દરવાજા પાસે આવેલો માનવ પહેલા  ધીરેથી અને પછી ઝડપથી દોડીને  બહાર જતો રહે છે. આથી જ્યારે વાલી શાળા પર પહોંચ્યા ત્યારે બાળક મળ્યો નહોતો.

આ બાબતે  શાળાના સંચાલકો અને શિક્ષકો સાથે માતા પિતાની રકઝક પણ થઈ હતી . બાળક ક્યાં જતો રહ્યો છે તે અંગે માથાકૂટ પણ થઈ અને બાદમાં બાળકની શોધખોળ પણ કરવામાં આવી હતી  પરંતુ 24 કલાક ઉપર સમય થયો છતાં પણ બાળક મળી ન આવતા આજે સવારે બાળકના વાલી તેમજ અન્ય વાલીઓ શાળામાં એકઠા થયા હતા અને શાળા ઉપર હોબાળો કર્યો હતો.

શાળાએ બેદરકારી ન હોવાનો કર્યો ખૂલાસો

જોકે બીજી તરફ શાળાના સંચાલક અને શિક્ષકે તેમની કોઈ બેદરકારી નહીં હોવાનું રટણ કર્યું હતું અને શાળામાં પૂરતી સિક્યોરિટી અને સીસીટીવીની સુવિધા હોવાનું પણ જણાવ્યું હતું અને જે સમયે ઘટના બની તે સમયે પટાવાળા અને અન્ય સ્ટાફ કચરો નાખવા ગયા હોવાથી ત્યારે બાળક ભાગી ગયા હોવાનું નિવેદન આપીને જવાબદારીમાંથી છટકી ગયા હતા.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે  તેમાં  આખી ઘટના દેખાય છે કે બાળકને ઓફિસમાં બોલાવ્યો છે તે શાળામાં કમ્પાઉન્ડમાં બેસે છે તેમજ શાળામાંથી જતો રહે છે. આ સમગ્ર મામલે હવે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ વાલીએ 24 કલાકમાં મંદિરો બાગ બગીચા તેમ જ મિત્રોના ઘરે પણ શોધખોટ કરતા બાળક નહીં મળી આવતા વાલીઓ ખૂબ જ ચિંતિતિ બન્યા છે.

Follow Us