અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા બળાત્કાર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો. જેમાં 14 વર્ષની સગીરા પર બળજબરીથી બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા તથા મુખ્ય આરોપીને મદદગારી કરનારને 03 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
સમગ્ર કેસની હકીકત અનુસાર 14 વર્ષની સગીરા શાળામાં ભણતી હતી તે દરમિયાન મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ તેને વારંવાર શાળાએ જઈને પરેશાન કરતો હતો અને તેની સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જો કે સગીરા રાજી ન થતાં આરોપી ચીડાયો હતો અને સામાજિક પ્રસંગ દરમિયાન મુખ્ય આરોપી રાજેશ અને તેના મિત્ર ભાવેશ દ્વારા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાના ફોટો પણ પાડવામાં આવ્યા હતા. આરોપી દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો સગીરા આ વાતની જાણ કોઈને કરશે તો તેનો ફોટો વાયરલ કરી દેશે અને તેના નાના ભાઈને પણ જાનથી મારી નાખશેટ. જે બાદ સગીરા ઘણી ડરી ગઈ હતી.
આટલેથી ન અટક્તા આરોપીઓ વારંવાર સગીરા તેના પરિજનોને પરેશાન કરતા હતા. આરોપીઓ સગીરાના ઘર પાસે આંટાફેરા મારતા અને તેનો પરિવાર બદનામ થાય તે પ્રકારના કૃત્યો કરતા હતા. આવી હરકતોને પગલે સગીરાના પરિજનોએ આરોપીઓને વિનંતિ પણ કરી હતી કે આ પ્રકારે પજવણી કરવાનુ બંધ કરે. તો આરોપીઓએ સગીરાના પરિવાર સાથે મારઝુડ કરી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
આ પણ વાંચો : ગોંડલના ઐતિહાસિક બ્રિજ મામલે હાઈકોર્ટની તંત્રને ફટકાર, કહ્યું- અત્યાર સુધી કેમ હતા કુંભકર્ણની નિંદ્રામાં
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કલમ 376, 376(3), 354 D,506-2,114 તથા પોક્સો એક્ટ કલમ 3, 4, 7, 8, 11, 12,17 મુજબ કાર્યવાહી કરી. જે બાદ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો. સરકારી વકીલ ભરત પટ્ટણી દ્વારા સમગ્ર કેસ ચલાવવામાં આવ્યો અને કોર્ટે 11 જેટલા સાક્ષીઓ તપાસીને કેસમાં ચુકાદો આપ્યો છે અને બંને આરોપીઓને સખ્ત સજા સંભળાવવામાં આવી છે.