Ahmedabad Rathyatra 2021: 144મી રથયાત્રા પર પોલીસ કમિશનરનું નિવેદન, ભક્તો ટીવીનાં માધ્યમથી દર્શન કરે, 8 પોલીસ સ્ટેશનમા કર્ફ્યુ

|

Jul 08, 2021 | 5:40 PM

પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહિ આવે ત્યાં સુધી બંધ રહેશે. રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે

Ahmedabad Rathyatra 2021: સમગ્ર રૂટ પર કર્ફ્યૂ સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથ(Bhagvan Jagannath Rathyatra)ની રથયાત્રા નીકળશે. અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે, સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે, પણ પ્રસાદ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે.

પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહિ આવે ત્યાં સુધી બંધ રહેશે. રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. રથયાત્રામાં માત્ર 5 વાહન જ ઉપસ્થિત રહેશે. ખલાસીઓનો 48 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ. ખલાસીઓ માટે વૅક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત છે.

જો કે જે ખલાસીઓએ વૅક્સિનના બંને ડોઝ લીધા હશે તે ખલાસીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. રથયાત્રાને પગલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ આજથી પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે

આ સંદર્ભે માહિતિ આપતા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવાનું રહેશે અને 20-20 ખલાસી એક રથમાં હશે તો 8 જેટલા પોલીસ સ્ટેશનમા કરફ્યૂ રહેશે. તેમણે ભક્તોને અપીલ કરી હતી કે ટીવીના માધ્યમથી રથયાત્રાના દર્શન કરે બહાર ન નિકળે. આ વખતે તમામ રૂટ પર બેરિકેટ રાખવામાં આવશે જેથી રોડ પર લોકો આવી ના જાય.

કરફયુ સમય સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રહેશે અને રથયાત્રા વહેલી પૂરી થઈ જશે તો કરફ્યૂ વહેલા ઉઠાવી દેવામાં આવશે. લોકો રથયાત્રા જોવા બહાર ન આવે તેવી તેમણે અપીલ કરી હતી. પોલીસ કમિશનરે જમાવ્યું હતું કે નિયમોનો ભંગ કરીને લોકો બહાર આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. બીજી લહેર બાદ ત્રીજી લહેર ન આવે લોકો ભેગા ન થાય તેનું પૂરતુ ધ્યાન રખાશે.

પોલીસ દ્વારા ત્રણ લેયરમાં રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવાશે, તેમમે સ્થાનિક લોકોને સપોર્ટ કરવા માટે પણ કહ્યું હતું. આ સાથે તમામ પોળોમાં અને ગલીઓમાં બેરિકેટ લગાડાશે. ગાયકવાડ હવેલી, શહેરકોટડા, કારંજ, કાલુપુર, માધુપુરા, દરિયાપુર, ખાડિયા, શાહપુર પોલીસ મથકમાં આવેલ વિસ્તારમાં કરફયૂની અમલવારી કરવામાં આવશે.

Published On - 5:35 pm, Thu, 8 July 21

Next Video