Ahmedabad : 17 સપ્ટેમ્બરના રોજ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Prime Minister Narendra Modi) જન્મદિવસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાનના જન્મદિવસની (PM Modi birthday) વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ સેલ અને કમિટીઓ દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવ્યા છે. આ વર્ષે AMCની આર્ટ ગેલેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યુ.
ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્ટ ગેલેરીમાં વિશેષ 73 ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેખિત 68 કાવ્યોને આ ચિત્રો માટે 1000 જેટલા લોકોને આપવામાં આવ્યા હતા અને એ કાવ્ય આધારિત ચિત્રો દોરવા માટે જણાવ્યું હતું અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 9 વર્ષ પૂર્ણ થતા આ ચિત્રોમાંથી કુલ 9 શ્રેષ્ઠ ચિત્રને વિશેષ ઈનામ પણ આપવામાં આવ્યા.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી રજની પટેલ દ્વારા આ પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં અમદાવાદના નવનિયુક્ત મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર , ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલના પ્રમુખ સહિત અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ સોલંકી પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના માતા હીરાબા પ્રત્યે વિશેષ પ્રેમ હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે પોતાનો જન્મદિવસ પોતાના માતા હિરાબા સાથે મળીને મનાવતા હતા. પરંતુ થોડા મહિનાઓ પહેલા જ વડાપ્રધાનના માતા હીરાબાનું અવસાન થયું છે, ત્યારે આ વર્ષે પ્રથમ જન્મદિવસ એવો છે કે જ્યારે વડાપ્રધાન પોતાના જન્મદિવસે પોતાની માતાને નહીં મળી શકે. તેવામાં અમદાવાદના 90% દિવ્યાંગતા ધરાવતા એક ચિત્રકાર જય ગાંગડીયા એ એક વિશેષ ભેટ નરેન્દ્ર મોદીના જન્મદિવસે તૈયાર કરી છે અને “મિસ યુ મોમ” લખેલું એક ચિત્ર તૈયાર કર્યું છે, આ ચિત્ર પણ 73 ચિત્ર પૈકી પસંદગી પામનારુ એક ચિત્ર છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:52 pm, Fri, 15 September 23