અમદાવાદમાં (Ahmedabad) રથયાત્રાને પગલે કોર્પોરેશન વિભાગ એલર્ટ છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા રથયાત્રાની (Rathyatra) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિરેથી (Jagannath Temple) રથયાત્રા નીકળે છે. ત્યારે રથયાત્રાને લઈ કોર્પોરેશન દ્વારા ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી રહી છે. થયાત્રાના રુટ પર આવતા જર્જરિત મકાનોનો સર્વે કરી ભયજનક મકાનો મોતના મકાનોના બને તે માટે નોટીસ તેમજ ઉતારી લેવામાં આવી રહ્યા છે.
ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. રથયાત્રામાં કોઈ અનચ્છિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી સજ્જ બન્યુ છે. વર્ષો પહેલા શરુ થયેલી રથયાત્રા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરે છે, જ્યાં મોટા ભાગે જૂના મકાનો હજી હયાત છે. જેમાના કેટલાક જર્જરીત હાલતમાં છે. મકાનમાં રીપેરીંગ કામકાજ કરવુ પડે તેમ છે પણ કેટલાક મકાનો ભાડે આપેલા હોવાથી તો કેટલાકમાં કોર્ટ મેટર ચાલતી હોવાથી રીપેરીંગ કરવામાં આવતા નથી. આવા મકાનોને કારણે રથયાત્રા વખતે કોઇ દુર્ઘટના થવાની સંભાવનાઓ વધી જાય છે. જે ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ સર્વે કરી શહેરના 283 મકાનોને ભયજનક જાહેર કરી નોટિસ પાઠવી છે.
મધ્ય ઝોન અને ઉત્તર ઝોનમાં રથયાત્રાના રૂટ પર આવતા અને જર્જરિત મકાનોના રીપેર માટે નોટિસ લગાવવામાં આવી છે.નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે જો કોઈ નોટિસનો અનાદર કરવાથી કોઇપણ અકસ્માત કે બનાવ બનશે તો તેની જવાબદારી માલિક કબ્જેદાર તેમજ હિત સંબંધ ધરાવતા લાગતા વળગતા તમામ શખ્સોની રહેશે. જેની ગંભીર નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.
રથયાત્રાના રુટ પર આવેલા ભયજનક મકાનોની સંખ્યા વોર્ડ પ્રમાણે જોઇએ તો ખાડિયામાં 176, જમાલપુરમાં 10 મકાન જર્જરિત છે. તો દરીયાપુરમાં 84, શાહપુરમાં 4 તો શાહીબાગમાં 9 મકાન જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેની સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે ભયજનક મકાનોની બાબતમાં કોર્પોરેશન નખ વગરના સિંહ જેવુ છે. તંત્ર દર વર્ષે નોટિસ આપીને સંતોષ માની લે છે. પણ કોઈ કડક કાર્યવાહી કરતું નથી.