અમદાવાદ (Ahmedabad)માં ફરી એક વખત સિનિયર સિટીઝનની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. શહેરના વેજલપુર વિસ્તારમાં સિનિયર સિટીઝનને તેમના જ ઘરમાં કેદ કરી લાખોની લૂંટ ચલાવી દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. જો કે પોલીસ (Police)ની સતર્કતાથી મુખ્ય કાવતરાખોર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બનાવના આઠ દિવસ બાદ ફરિયાદ દાખલ કરી આરોપી વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓ જુહાપુરા અને સરખેજ વિસ્તારના રહેવાસી છે. રાહીલ શેખ, કાસમ શેખ અને શાહેબાજ મોમીન નામના ત્રણેય આરોપીઓએ સિનિયર સિટિઝન(Senior Citizen)ને ટાર્ગેટ કરી, કાવતરુ રચી લૂંટ ચલાવી હતી.
ફરિયાદીના ઘરમાં મકાન ખરીદવાના બહાને ઘરમાં ઘુસી જઈ જમાલુદ્દીન વઢવાણિયાને દોરી અને ટેપ વડે બાંધીને ઘરમાં રહેલા એક લાખ 11 હજાર રોકડની લૂંટ ચલાવી હતી અને કોરા ચેક પર સહીઓ કરાવી લીધી હતી. સાથે જ મકાનના દસ્તાવેજ પર જબરજસ્તીથી સહી કરાવી આરોપી નાસી છૂટ્યા હતા.
ઝડપાયેલા ત્રણેય આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મુખ્ય આરોપી શાહજેબ મોમીન ભોગ બનનાર નિવૃત્ત જમાલુદ્દીન વઢવાણિયાના ઘરની સામે જ રહે છે. ભોગ બનનારની તમામ બાબતોથી આરોપી માહિતગાર હતો. આરોપીને માહિતી હતી કે વૃદ્ધ ઘરમાં એકલા રહે છે. તેમને ડરાવવાથી મકાનના દસ્તાવેજો પર સહી કરી આપશે. તેથી પોતાના અન્ય બે મિત્રો અને સહ આરોપી રાહીલ શેખ અને કાસમ શેખની સાથે મળી કાવતરું રચ્યું હતુ.
ફરિયાદીના ઘરે જઈ તેમને કેદ કરી રૂપિયા પડાવી મકાનના દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. વૃદ્ધ સહી કરતા કરતા ઉંમરના લીધે હાથ ડગમગતા સહી ન કરી શક્યા અને તેના કારણે આરોપીઓએ માર પણ માર્યો હતો. મહત્વનું છે કે, લૂંટના આઠ દિવસ બાદ પણ ફરિયાદી પોલીસ સામે આવ્યા ન હતા. પરંતુ પોલીસે માહિતીના આધારે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા બનાવની હકીકત સામે આવી છે.
સાથે જ ઝડપાયેલા આરોપી અગાઉ લૂંટ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હતા. હાલ પોલીસે તમામ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ પ્રકારે વધુ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે.