Ahmedabad : અમદાવાદ પોલીસનો માનવીય અભિગમ, પાલડી પોલીસ મથકમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવવામાં આવ્યો

Ahmedabad: હંમેશા સખ્ત જણાતા પોલીસ કર્મીઓ પણ આખરે છે તો માણસ જ અને તેમની અંદર પણ એક કોમળ હ્રદય ધબકે છે. ત્યારે આ હંમેશા તેમની સખ્ત છબી માટે જાણીતી અમદાવાદ પોલીસે દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના પાલડી ખાતેના પોલીસ મથકમાં એક ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવવામાં આવ્યો છે. શું છે આ ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમની ખાસિયત વાંચો અહીં-

Ahmedabad : અમદાવાદ પોલીસનો માનવીય અભિગમ, પાલડી પોલીસ મથકમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવવામાં આવ્યો
| Edited By: | Updated on: Jul 06, 2023 | 6:44 PM

અમદાવાદ શહેર પોલીસે તેમના માનવીય અભિગમ સાથે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલા બાળકોને બચાવી તેમની માટે સાનુકૂળ માહોલ મળી રહે તે માટે એક નવતર અભિગમ સાથે ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના પાલડી પોલીસ મથકમાં મા ફાઉન્ડેશનના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનુ વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે તેમણે શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

શું કહ્યુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  ?

હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરી વિશે વાત કરતા કહ્યું હતું કે, રાજ્ય પોલીસ વિભાગ હાલ પાંચ જેટલા વિષય પર ઉત્તમ કામગીરી કરી રહી છે. જેમાં સૌથી પહેલો વિષય ડ્રગ્સ સામેની લડાઈ. ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા પોલીસ કટિબદ્ધ છે. બીજો વિષય છે મહિલાઓની સુરક્ષા. જેમાં ગુજરાત મહિલાઓની સુરક્ષામાં મોખરે છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવવા માટે પોલીસે ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરી સમાજમાં આવી ઘટના ફરી ન બને તે દિશામાં કામગીરી કરી છે.

સામાન્ય નાગરિકો સાથેના પોલીસના વર્તનને લઈને સામે આવતા કિસ્સાઓ સામે હર્ષ સંઘવીની ટકોર

આ ઉપરાંત રાજ્ય પોલીસે અનેક કિસ્સાઓમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ચાર્જશીટો તૈયાર કરી આરોપીઓને સજા અપાવવાનું કામ કર્યું છે. ત્રીજો વિષય કે જે સામાન્ય નાગરિકો સાથે ટ્રાફિક પોલીસનું વર્તન. તેના પર વાત કરતા જણાવ્યું કે, રોજગારી મેળવવા જતો નાગરિક જો ભૂલથી લાઇસન્સ કે પીયૂસી ભૂલી ગયો હોય તો તેમની સાથે અયોગ્ય વર્તન ન થાય તે ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ વિભાગ કામ કરી રહ્યો છે. જોકે હજી ટ્રાફિક પોલીસની કામગીરીથી સંતોષ નથી. અનેક કિસ્સાઓમાં સામાન્ય નાગરિક સાથે ગુનેગાર જેવું વર્તન થઈ રહ્યું હોવાની પણ ટકોર કરવામાં આવી હતી.

બાળકો સામેના ગુનાઓ અટકાવી સાનુકૂળ વાતાવરણનું સર્જન કરવુ- હર્ષ સંઘવી

ચોથો વિષય છે વ્યાજના દૂષણખોરોની નાબૂદી. વ્યાજખોરીના દૂષણને લીધે સામાન્ય પરિવારો બરબાદ થતા હોય છે ત્યારે પોલીસે વ્યાજખોરોને પકડવાનું જ નહીં પરંતુ તેમની પાસેથી પૈસા, મકાન, ઘરેણાં પરિવારોને પાછું અપાવવાનું કામ પોલીસે કર્યું છે. સાથે સાથે બેંકો સાથેના સહયોગથી હજારો નાગરિકોને ઓછા વ્યાજમાં લોનના ચેક અર્પણ કરાયા છે અને પાંચમો વિષય કે જે બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવવાનો છે. જેમાં હાલમાં પોલીસ વિભાગ બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવી તેમના માટે સાનુકૂળ વાતાવરણનું સર્જન કરી તેમની માનસિક પરિસ્થિતિ બદલવાનું કામ કરી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : “ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહિ” સિંધુભવન રોડ પર નબીરાઓને સ્ટંટ કરવો ભારે પડયો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

મુશ્કેલ પરિસ્થિતિમાંથી આવતા બાળકોને પુન:સામાન્ય જીવન ગુજારવામાં મદદરૂપ થવુ- હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહેલા પોલીસકર્મીઓને સંબોધતા કહ્યું કે, આપણે સૌએ મુશ્કેલ પરિસ્થિતિ માંથી આવેલ બાળકોને બચાવી તેમને પુન: સામાન્ય જીવન ગુજારવામાં મદદરૂપ થવા માટે સંકલ્પબદ્ધ બનીએ. વધુમાં તેમણે કહ્યું કે, પોલીસમિત્રો પાસે અનેક પ્રકારની જ્વાબદારીઓ છે તેમાં બાળક સાથે સંવેદનશીલ બની મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખી તેમની માનસિક પરિસ્થિતિમાં બદલાવ લાવવો એ આપણા સૌની જવાબદારી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો